મુંબઈ – તાજ હોટેલની રેસ્ટોરાંમાં સહ-અભિનેતા સૈફ અલી ખાનને એનઆરઆઈ ઈકબાલ શર્મા સાથે થયેલી મારામારીની ઘટના વિશે અભિનેત્રી કરીના કપૂરે જાળવી રાખેલું મૌન ઘણાયને અકળાવતું હતું, કારણ કે ઘટના બની ત્યારે એ સૈફની સાથે જ હતી.
કરીના ઉપરાંત અમ્રિતા અરોરા અને તેની બહેન મલઈકા અરોરા પણ હતી. અમ્રિતા અને મલઈકાએ તો સૈફને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે જ્યારે કરીનાએ પણ હવે મૌન તોડ્યું છે. એક દૈનિકને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું કે અત્યાર સુધી જે કંઈ કહેવાયું છે તે એક તરફી છે. એ માણસ (ઈકબાલ) પ્રસિદ્ધિનો ભૂખ્યો છે. ફ્રેક્ચર્ડ નાક અને જડબા સાથે કોઈ માણસ દસ-દસ કલાકો સુધી ટીવી પર કઈ રીતે બોલી શકે?
સૈફને ઉશ્કેરવામાં આવ્યો હતો. એ ક્યારેય મારામારી કરતો નથી. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ એની સાથે હોય ત્યારે. અમે વાસાબીમાં ડિનર લેતા હતા ત્યારે એ માણસ (ઈકબાલ) ઓચિંતો અમારી કોર્નરમાં આવ્યો હતો અને અમારી તરફ ઘૂરકવા લાગ્યો હતો. તે વખતે રેસ્ટોરાંમાં અમારું અને ઈકબાલનું ગ્રુપ જ હતું. અમે વાતો કરતા હતા, હસતા હતા, પણ ઘાટા પાડતા નહોતા.
‘એ માણસે અમારા ટેબલ પર આવીને સૈફ સામે તાડૂકવાનું કોઈ કારણ જ નહોતું. સૈફે સોરી કહ્યું તો પણ એણે તાડૂકવાનું ચાલુ રાખ્યું હતું. ઈકબાલનો દાવો હતો કે તેને ખબર નહોતી કે સામેના ટેબલ પર બેઠેલાઓ કલાકારો છે. એ ખોટું બોલે છે, કારણ કે તેની પત્ની તરીના અને મલઈકા સારી ફ્રેન્ડ્સ છે. બંનેએ થોડીક વાર પહેલા જ એકબીજા સાથે ‘કેમ છો’ કર્યું હતું.’
‘મજાની વાત એ છે કે જ્યારે ઈકબાલ તમાશો કરતો હતો ત્યારે તરીના ઊભી થઈને બહાર દોડી ગઈ. ઈકબાલે સૈફને ધક્કો માર્યો અને તેની સાથેનો પેલો ઘરડો માણસ પણ જોડાયો હતો. સૈફે તે ઘરડા માણસ પર હુમલો કર્યો નહોતો. ઈકબાલે જ્યારે સૈફને ધક્કો માર્યો ત્યારે શકીલ અને બિલાલ તેની મદદે ગયા હતા. સૈફ સાથે જે કંઈ બન્યું તેના અમે સાક્ષી છીએ,’ એમ કરીનાએ કહ્યું.
સૈફને ઉશ્કેરવામાં આવ્યો હતોઃ બેબોએ મૌન તોડ્યું
Filed in: Bollywood, Breaking News



















