એડીલેડ – આઈસીસીએ એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ મૂક્યા બાદ ભારતીય ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અહીં ૨૪ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં રમી શકવાનો નથી. ગુરુવારે સવારે પહોંચી ગયો હતો શરાબ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી દ્રાક્ષના એક બગીચા (વાઈનયાર્ડ)ની મુલાકાતે.
એડીલેડમાં લગભગ ૫૦ જેટલા વાઈનયાર્ડ છે. પરાજયોની હારમાળા અને વ્યાપક ટીકા તેમજ આઈસીસીના પ્રતિબંધને લીધે ધોની એકદમ માનસિક દબાણ હેઠળ આવી ગયો છે.
તેથી ક્રિકેટમાંથી નવરો પડતા અને ફૂરસદનો સમય ગાળવા તે વાઈનયાર્ડની મુલાકાતે ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ તે વખતે ધોનીની સાથે તેની પત્ની સાક્ષી પણ હતી.
કહેવાય છે કે ૧૮૪૪માં એડીલેડ હિલ્સમાંથી ક્વિન વિક્ટોરિયાને વાઈન મોકલવામાં આવતો હતો.
ટીમ ઈન્ડિયાના મેનેજર જી.એસ. વાલિયાએ ધોની વાઈનયાર્ડની મુલાકાતે ગયો હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે.
ધોની ટીમના અન્ય સાથીઓની ભેગો બુધવારે સાંજે પર્થથી એડીલેડ આવ્યો હતો.
પર્થ ટેસ્ટ મેચમાં ધીમા ઓવર રેટને કારણે ધોની પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાર મહિનામાં તેણે આ ગુનો બીજા વાર કર્યો છે. આઈસીસીના નિયમ મુજબ, આ ગુના માટે કેપ્ટન પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ મૂકાય છે.
ધોની શુક્રવારે નેટ પ્રેક્ટિસ કરશે, પણ ટીમના અન્ય સભ્યોને શુક્રવારે રજા આપવામાં આવી છે. તેઓ બરોસા વેલીની મુલાકાતે જવાના છે.
રજાની મજાઃ ધોની પહોંચી ગયો વાઈનયાર્ડમાં
Filed in: Breaking News, Sports



















