મુંબઈ – ૨૦૦૮ના નવેંબરના મુંબઈ ટેરર હુમલાખોરોના હેન્ડલર, લશ્કર-એ-તૈબાના ત્રાસવાદી અબુ જુંદાલને હવે તે ભયાનક કૃત્યોમાં પોતે ભજવેલી ભૂમિકાની કબૂલાત કરવી છે અને એ વિશેની ઈચ્છા તેણે કોર્ટને જણાવી દીધી છે.
પોતાની કબૂલાતને રેકોર્ડ કરવામાં આવે એવી વિનંતી તેણે કોર્ટને કરી છે.
મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓએ જુંદાલને ૨૬/૧૧ હુમલાઓમાં એકમાત્ર જીવતા પકડાયેલા ત્રાસવાદી અજમલ અમીર કસાબની સામે મૂકી દીધા બાદ જુંદાલને કબૂલાત કરવાની ઈચ્છા જાગી છે.
તપાસકારો જુંદાલને કસાબની સામે મૂકીને બે વખત પૂછપરછ કરી ચૂક્યા છે.
આ પૂછપરછની પ્રક્રિયા ગુરુવારે અહીં આર્થર રોડ જેલની અંદર યોજવામાં આવી હતી. કસાબને આ જેલની અંદર બુલેટપ્રૂફ સેલની અંદર રાખવામાં આવ્યો છે. પોલીસે ગુરુવારે લગભગ દોઢેક કલાક સુધી પૂછપરછ કરી હતી.
કસાબે તે દરમિયાન તપાસકારોને કહ્યું કે જુંદાલ જ ૧૩ પાકિસ્તાની હેન્ડલર્સમાંનો એક છે.



















