મુંબઈ – તપાસનીશ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને મુંબઈના આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડના તમામ ૧૪ આરોપીઓ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે જેમાં તેણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણનું પણ નામ આપ્યું છે.
અગાઉ, મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસમાં સીબીઆઈના અધિકારક્ષેત્ર વિશે સવાલ ઉઠાવ્યો હતો. સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં નોંધાવેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે આ કેસમાં કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવાનું કહ્યું જ નહોતું.
આ કૌભાંડ દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આવેલા ગગનચૂંબી ઈમારત આદર્શના ગેરકાયદેસર બાંધકામનું છે.
આ કૌભાંડે મહારાષ્ટ્રમાં રાજકીય વંટોળ ઊભો કર્યો છે. તેને કારણે જ અશોક ચવ્હાણને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ કૌભાંડની તપાસમાં રાજ્યના અન્ય બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, વિલાસરાવ દેશમુખ અને સુશીલકુમાર શિંદે પણ શંકાના ઘેરામાં છે.
સીબીઆઈએ ગઈ ૧૮ જૂને મુંબઈ હાઈ કોર્ટને ખાતરી આપેલી કે તે ૪ જુલાઈ પહેલા આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી દેશે. સરકારી અમલદારો સામે કોર્ટની કાર્યવાહી શરૂ કરવા માટે સરકારની પરવાનગી લેવી પડે.



















