નવી દિલ્હી – એર ઈન્ડિયાના અબુ ધાબીથી નવી દિલ્હીથી આવતા વિમાને ટેકનિકલ ખામીને કારણે સોમવારે વહેલી સવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ એરપોર્ટ ખાતે તાકીદનું ઉતરાણ કર્યા બાદ તેના અટવાઈ પડેલા મુસાફરોને એરલાઈને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી પાછા લાવી દીધા છે. ૧૨૨ મુસાફરો અને ૮ ક્રૂ મેમ્બર્સનું સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ દિલ્હીમાં આગમન થયું.
ફ્લાઈટ એઆઈ-319નું સોમવારે વહેલી સવારે ૪.૩૭ વાગ્યે પાકિસ્તાનમાં તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું.
વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી ઊભી થઈ હોવાની પાઈલટ સુનીલ વશિષ્ઠને શંકા જતા તેમણે વિમાનને પાકિસ્તાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું. વિમાનની ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમ બગડી ગઈ હતી.
વિમાને તાકીદનું ઉતરાણ કર્યા બાદ એર ઈન્ડિયાએ તરત જ દિલ્હીથી ૮ એન્જિનિયરોની ટૂકડીને બીજા વિમાન દ્વારા પાકિસ્તાન મોકલી હતી.
એન્જિનિયરોએ વિમાનને રીપેર કરી દીધું હતું અને તેને દિલ્હી લઈ જવાની લીલી ઝંડી આપી હતી.
અટવાઈ ગયેલા એ તમામ બપોરે લગભગ બે વાગ્યે નવાબશાહ એરપોર્ટ પર વિશેષ વિમાનમાં બેસી ગયા હતા.
પાકિસ્તાનના સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તા પરવેઝ જ્યોર્જે કહ્યું હતું કે એર ઈન્ડિયાના વિમાને નવાબશાહ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. સૌ મુસાફરો સુરક્ષિત છે અને કોઈને જરાય ઈજા પહોંચી નથી.
વિમાને કન્ટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો અને ટેકનિકલ ખામી વિશે તેમને વાકેફ કર્યા હતા. ત્યારબાદ તરત જ વિમાનને નવાબશાહ એરપોર્ટ પર ઉતારવા ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું.



















