નવી દિલ્હી – રાજ્યોને દુકાળ રાહત સહાય નક્કી કરવા અંગે કૃષિ પ્રધાન શરદ પવારની આગેવાની હેઠળ રચાયેલા પ્રધાનોના જૂથે ગુજરાત માટે તાત્કાલિક રાહત તરીકે રૂ. ૪૮૦ કરોડની રકમ આજે મંજૂરી કરી છે. આ સહાય ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે આપવામાં આવી છે.
પ્રધાનોના જૂથમાં પવાર ઉપરાંત ગ્રામિણ વિકાસ પ્રધાન જયરામ રમેશ તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ સામેલ હતા. તેમણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો થવાને કારણે ઊભી થયેલી દુકાળની પરિસ્થિતિ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
રાજ્ય સરકારે ગુજરાતમાં દુકાળની પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રધાનોના જૂથને રૂ. ૧૪,૬૮૩ કરોડની સહાય આપવાનું આવેદનપત્ર સુપરત કર્યું હતું.
પવારે તેમ છતાં રાજ્ય સરકારને કહ્યું છે કે તે આવેદનપત્રને બે ભાગમાં વહેંચી દે. એક ભાગમાં તાત્કાલિક તાકીદની જરૂરિયાત દર્શાવે તથા બીજામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરવા વર્ષ દરમિયાનની જરૂરિયાતોની વિગત દર્શાવે.
ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં બહુ ઓછો વરસાદ થયો છે. સરેરાશ વરસાદનો તે ૨૫ ટકા પણ થયો નથી. સૌથી વધારે ખરાબ હાલત સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારોમાં છે.



















