અમદાવાદ – કોંગ્રેસના ગુજરાત એકમે રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે એવો તે જે આક્ષેપ કરે છે તે મુદ્દે તે અમારી સાથે જાહેરમાં ચર્ચા કરે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે જો મોદીમાં હિંમત હોય તો એમણે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ભેદભાવ રાખે છે એવા તેમના આક્ષેપ અંગે ગુજરાતના કોંગ્રેસી નેતાઓ સાથે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. તે ચર્ચાનો વિષય આગલી એનડીએ સરકારે અને હાલની યુપીએ સરકારે ગુજરાતને કેટલી કેન્દ્રીય સહાય કરી છે તે હોવો જોઈએ.
મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે, જો મોદી જાહેર ચર્ચા યોજતા ગભરાતા હોય તો તેમણે આ મુદ્દે ચર્ચા કરવા રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ.
મોઢવાડિયાએ રવિવારે મોદીને રાજકીય આતંકવાદી તરીકે ઓળખાવ્યા હતા.



















