નવી દિલ્હી – ફાસ્ટ બોલર રંગનાથન વિનય કુમાર ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ શ્રીલંકાના પ્રવાસે ભારતીય ટીમ સાથે જશે. શ્રીલંકામાં ભારતીય ટીમ પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમવાની છે. પહેલી મેચ ૨૧ જુલાઈએ રમાશે.
‘વિનયને ગુરુવારે જમણા પગમાં ગ્રેડ-1 હેમસ્ટ્રીંગ ઈન્જરી થઈ છે. પરિણામે એ શ્રીલંકાના પ્રવાસ માટે ઉપલબ્ધ નથી. એ ત્રણેક અઠવાડિયામાં સાજો થઈ જશે એવી ધારણા છે,’ એમ બીસીસીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે.
ટીમની જાહેરાત કરાઈ હતી ત્યારે ઈરફાન પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો તેથી એના ચાહકો નિરાશ થયા હતા, પણ હવે તેને શ્રીલંકાના પ્રવાસમાં પોતાની બોલિંગ તાકાતનું પ્રદર્શન કરવાની તક મળી છે.



















