એર ઈન્ડિયાના વિશેષ વિમાનમાંથી – વડા પ્રધાન મનમોહન સિંહે પોતાના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે, પણ એ ક્યારે થશે અને નાણાં પ્રધાન પ્રણવ મુખરજીનું સ્થાન કોણ લેશે એ તેમણે સ્પષ્ટ કર્યું નથી.
જી-20 અને રીયો+20 શિખર સંમેલનમાં હાજરી આપવા મેક્સિકો અને બ્રાઝિલની યાત્રા પર જઈને સ્વદેશ પાછા ફરતી વખતે એર ઈન્ડિયાના વિશેષ વિમાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં વડા પ્રધાને કહ્યું કે હું સમજું છું કે આ (પ્રધાનમંડળમાં ફેરફાર વિશે) જાણવાની તમારી ઉચિત અપેક્ષા છે. નજીકના ભવિષ્યમાં પ્રધાનમંડળમાં ફેરફાર કરવામાં આવશે ત્યારે તમને જાણ થઈ જશે.
પ્રણવ મુખરજીના રાજીનામા બાદ તેમની ખાલી પડનાર જગ્યામાં કોને મૂકશો? એમ પૂછતા વડા પ્રધાને કહ્યું કે, એ વિશે હું મારું મગજ હજી દોડાવી રહ્યો છું. અમુક મુદ્દા એવા છે કે જેનો ઉકેલ લાવવાનો બાકી છે. હું દેશની બહાર હોઉં ત્યારે આવી કોઈ પણ જાહેરાત કરવી યોગ્ય ન કહેવાય.



















