વડનગર : ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૩મો જન્મદિવસ છે. જેને લઈને તેમનાં માદરે વતન વડનગરમાં ખુશીનો માહોલ છે. મુખ્યપ્રધાને તેમનાં જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ વડનગર આવીને એમના માતાનાં આશિર્વાદ લીધા હતા. તેમનાં માતાએ તેમને ભેંટ રૂપે ‘ભગવદ્દ ગીતા’ પુસ્તક આપ્યું છે.
મોદીએ જન્મદિવસ નિમિત્તે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, જન્મદિવસ પણ સામાન્ય દિવસ જેવો જ દિવસ છે. આ તકે તેમણે યુવામિત્રો અને શુભચિંતકોનો સ્નેહભાવ બદલ આભાર માન્યો છે. મોદી આવતીકાલે ગુજરાતમાં શાસનકાળના ૪૦૦૦ દિવસો પૂર્ણ કરી રહ્યા છે.
મોદીના કહેવા પ્રમાણે, “ગુજરાતની સફળતા કોઈ એકાદ વ્યક્તિ, કુટુંબ કે થોડા ઘણા લોકોનાં એકાદ જૂથને આભારી નથી. ગુજરાતની ૪૦૦૦ દિવસની સાફલ્યગાથાની પાછળ એક મજબુત ટીમ-સ્પિરિટ અને ’મૈ નહિ, હમ’ ની ભાવના કારણભુત છે. ’સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં ગુજરાતનાં મંત્રએ નવી રાજકીય સંસ્કૃતિનાં નિર્માણ માટેની ચેતના પૂરી પાડી છે. “



















