નવી દિલ્હી – કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચારના મામલે જંગે ચડેલી ટીમ અણ્ણા પોતાની વિરુદ્ધના કુપ્રચારથી ખૂબ પરેશાન છે. શુક્રવારે એક અફવા એવી ઊડી હતી કે વાત-વાતમાં ન્યૂડ થવાનું એલાન કરનારી મોડેલ પૂનમ પાંડેને ટીમ અણ્ણાના આંદોલનમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ વિશે પૂછતાં ટીમ અણ્ણાના સભ્ય મનીષ સિસોદીયાએ વાતને માત્ર અફવા ગણાવી હતી.
શુક્રવારે એવી અફવાઓ ફેલાઈ હતી કે ટીમ અણ્ણાનાં સભ્ય કિરણ બેદીએ પૂનમને ટીમમાં જોડાવાનું અને આંદોલનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેદીએ કહ્યું કે ગ્લેમર જગત સાથે સંકળાયેલી સેલિબ્રિટીઓ પણ અમારા આંદોલનમાં જોડાઈ શકે છે. અમને તેમાં કોઈ વાંધો નથી.
પરંતુ, બાદમાં સિસોદીયાએ કહ્યું કે અમારા આંદોલનને બદનામ કરવા માટે આવી અફવાઓ જાણીજોઈને ફેલાવવામાં આવી રહી છે. અમારી ટીમનું કોઈ સભ્ય પૂનમના સંપર્કમાં નથી અને કોઈએ એને એવું આમંત્રણ પણ આપ્યું નથી.



















