ઈસ્લામાબાદ – ગઈ ૨૧ જૂને નવી દિલ્હીમાં પકડાયેલો ત્રાસવાદી અબુ જુંદાલ ૨૦૦૮માં મુંબઈના ટેરર હુમલાઓનો સૂત્રધાર છે અને તેને પાકિસ્તાનની સરકારનું પીઠબળ હતું એવા ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના આક્ષેપના જવાબમાં પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે કહ્યું છે કે ભારત જુંદાલ વિશે વધારે વિગતો આપે. મલિકે એમ પણ કહ્યું કે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરનાર ગુનેગારને પાકિસ્તાની ગણી શકાય નહીં.
મલિકે શુક્રવારે મોડી રાત્રે ટ્વિટર પર મૂકેલા સંદેશામાં વધુમાં જણાવ્યું છે કે ભારત જુંદાલના નિવેદનની એક કોપી પાકિસ્તાન સરકારને આપે. હું એનો ઓરિજિનલ પાસપોર્ટ પણ જોવા માગું છું જે કથિતપણે પાકિસ્તાને જુંદાલને આપ્યો હતો.
ભારતીય સત્તાવાળાઓનો આક્ષેપ છે કે અબુ જુંદાલ ઉર્ફે ઝબીઉદ્દીન અન્સારી ભારતીય નાગરિક છે, પણ એ પાકિસ્તાની પાસપોર્ટ પર સાઉદી અરેબિયા ગયો હતો.




















