ગુવાહાટી – શુક્રવારે સાંજે ઈશાન ભારતના આસામ અને મેઘાલય રાજ્યોમાં ધરતીકંપના હળવા આંચકા લાગ્યા હતા. પશ્ચિમ બંગાળના માલ્દા, બહેરામપુર, જિયાગંજ ઉપરાંત કોલકાતા શહેરમાં પણ આંચકાનો અનુભવ થયો હતો.
આ આંચકા સાંજે ૬.૧૪ વાગ્યે લાગ્યા હતા. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૧૪ની નોંધાઈ હતી. ધરતીકંપનું કેન્દ્રબિંદુ આસામના તેજપુરમાં હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
આસામના ગુવાહાટી અને મેઘાલયના શિલોંગમાં આંચકાની અસર વધારે તીવ્ર હતી. અનેક ઘરોની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે.
સદ્દભાગ્યે ક્યાંયથી કોઈ જાનહાનિનો અહેવાલ નથી.



















