નવી દિલ્હી – આર્થિક સુધારાના અમલમાં દ્રઢતા દાખવીને કેન્દ્ર સરકારે ગુરુવારે વોલ-માર્ટ જેવી જાગતિક રીટેલ જાયન્ટ્સને ભારતમાં છૂટક વ્યાપાર માટેના સ્ટોર્સ ખોલવા દેવાના પોતાના નિર્ણયનું નોટિફિકેશન બહાર પાડી દીધું.
ગુરુવારે વિરોધ પક્ષોએ એફડીઆઈના વિરોધમાં દેશવ્યાપી હડતાળ – ભારત બંધ પાળ્યો તેની પરવા કર્યા વિના સરકારે મોડી સાંજે નોટિફિકેશન બહાર પાડી દીધું. આ સાથે જ મલ્ટીનેશનલ રીટેલર્સ ભારતમાં મલ્ટી-બ્રાન્ડ રીટેલ સેક્ટરમાં ૫૧ ટકા સુધીનું મૂડીરોકાણ કરી શકશે.
ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન વિભાગે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક રીતે કરાશે.
મલ્ટીનેશનલ કંપનીઓ હવે ભારતમાં તમામ ઉત્પાદનોમાં મલ્ટી-બ્રાન્ડ રીટેલિંગમાં ૫૧ ટકા ઈન્વેસ્ટમેન્ટ કરી શકશે.
કોર્પોરેટ ક્ષેત્રે સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને ગુરુવારે નોટિફિકેશન બહાર પડાયું તે માટે આનંદ પણ વ્યક્ત કર્યો છે.



















