નવી દિલ્હી – ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા બાદ વિપ્રો કંપનીના ચેરમેન અઝીમ પ્રેમજીએ પણ વડા પ્રધાન મનમોહન સિંહ અને તેમની સરકારની તરફેણમાં નિવેદન કર્યું છે.
વિપ્રોના જૂન ક્વાર્ટર માટેના પરિણામોની જાહેરાત કર્યા બાદ પત્રકાર પરિષદમાં પ્રેમજીએ કહ્યું કે, વડા પ્રધાને હવે નાણાં ખાતું પોતાને હસ્તક લીધું છે ત્યારે આપણને એમને પૂરતી તક આપવી જોઈએ. એમણે નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. સરકારે હાલના પ્રોજેક્ટો તથા નીતિઓના અમલ ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
ગયા અઠવાડિયે રતન ટાટાએ ફૂગાવા, ઈન્વેસ્ટમેન્ટમાં આવેલા ઘટાડા અને વિકાસમાં મંદી માટે વડા પ્રધાનને દોષ દેવા બદલ મીડિયાની ઝાટકણી કાઢી હતી. ટાટાએ કહ્યું હતું કે દેશને નડતી તમામ આર્થિક સમસ્યાઓ માટે કંઈ વડા પ્રધાનને દોષ ન દેવાય.
‘જેનાથી આપણને સમૃદ્ધિ મળી છે તે ૧૯૯૧ના આર્થિક સુધારાના ઘડવૈયા પર તમે આ રીતે પ્રહાર કરો એ ખેદજનક અને કમનસીબ બાબત છે. ફૂગાવા તથા મંદ વિકાસ માટે વડા પ્રધાનને દોષ દો એ યોગ્ય ન કહેવાય,’ એમ ટાટાએ કહેલું.



















