નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં મંત્રાલયના અધિકારીઓએ વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચના અધિકારીઓ સાથે ગુરુવારે મુલાકાત કરી હતી અને ભારતનું રેટિંગ અપગ્રેડ કરવાની જોરદાર રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં વિદેશી સીધા મૂડીરોકાણનો પ્રવાહ તથા પોર્ટફોલિઓ ફ્લોની સ્થિતિ મજબૂત છે.
ભારતીય અધિકારીઓએ ફિચને વિશ્વાસ અપાવ્યો હતો કે ભારત સરકાર નાણાકીય ખાધને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં સબ્સિડીના ભારણને કુલ જીડીપીના બે ટકાથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
રૂપિયાએ વિક્રમસર્જક પછડાટ ખાધા બાદ ફિચના અધિકારીઓ અહીં નાણાં મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા.
ગયા મહિને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર એજન્સીએ ભારતના રેટિંગને સ્થિરમાંથી નકારાત્મક સ્તરે ડાઉનગ્રેડ કર્યું હતું. એ માટે તેણે ભારતની કંગાળ આર્થિક હાલત અને બગડતા રહેલા આર્થિક સંકેતોને કારણરૂપ ગણાવ્યા હતા.



















