અમરેલી – આ જિલ્લાના દામનગર ટાઉનમાં ગુરુવારે લઘુમતી કોમના કેટલાક લોકોએ કરેલા હુમલામાં દસ હિન્દુઓને ઈજા થવાની ઘટના સામેના વિરોધમાં મહાગુજરાત જનતા પાર્ટીએ શનિવારે એક-દિવસના બંધનું એલાન કર્યું છે.
રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન ગોરધન ઝડફીયાના વડપણ હેઠળના મજપાના અમરેલી જિલ્લાના વડા જે.બી. કુંભાણીએ બંધની હાકલ કરી છે.
દામનગરમાં સ્વામીનારાયણ મંદિરના બાંધકામ સામે મુસ્લિમોનો વિરોધ છે. આ વિવાદ ૧૫ વર્ષ જૂનો છે અને હાઈ કોર્ટમાં કેસ ચાલે છે.
ગુરુવારે કેટલાક મુસ્લિમોએ તે વિસ્તારના હિન્દુઓ પર હુમલો કર્યો હતો. એક મુસ્લિમે પોતાની બંદૂકમાંથી ગોળીબાર પણ કર્યો હતો. હુમલામાં દસ હિન્દુઓ અને એક મુસ્લિમને ઈજા થઈ છે. પાંચ હિન્દુઓની હાલત ગંભીર છે.
મુસ્લિમોનો દાવો છે કે સ્વામીનારાયણ મંદિર માટે અપાયેલી જમીનનો એક ભાગ પર એક સમયે મુસ્લિમોનું કબ્રસ્તાન હતું.



















