અમદાવાદ – સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ગુજરાત સરકારે રાજ્યના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવેલા નિવૃત્ત જજ આર.એ. મહેતાને તેમનો ચાર્જ સંભાળી લેવાની વિધિસર વિનંતી કરી છે.
પરંતુ, મહેતાએ કહ્યું છે કે ચાર્જ ક્યારથી સંભાળવો એ મેં હજી સુધી નક્કી કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે ૨૦૧૧ના ઓગસ્ટમાં રાજ્યના લોકાયુક્ત તરીકે મહેતાની નિમણૂંક કરી હતી. આ પદ છેલ્લા આઠ વર્ષથી ખાલી પડ્યું હતું એને ધ્યાનમાં લઈને બેનીવાલે મહેતાની નિમણૂંક કરી હતી, પરંતુ ગુજરાત સરકારે એમ કહીને તેમનાં નિર્ણયને નકારી કાઢ્યો હતો કે તેમણે સરકાર સાથે આ મુદ્દે મસલત કરી નહોતી.
કાનૂની જંગમાં સરકારની હાઈ કોર્ટ તથા અંતે સુપ્રીમ કોર્ટમાં હાર થઈ છે. સુપ્રીમના ચુકાદા બાદ રાજ્ય સરકારે કહ્યું કે તે કોર્ટના આદેશનું પાલન કરશે.
રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સામાન્ય વહીવટ વિભાગના અધિકારી કે. શ્રીનિવાસ નિવૃત્ત જજ મહેતાને તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા અને ચાર્જ સંભાળી લેવા કહ્યું હતું.
આ અંગે જસ્ટિસ મહેતાનો સંપર્ક થઈ શક્યો નથી.



















