લંડન – બાફેલા બટેટાને જુદી જુદી રીતે વાનગીઓમાં ઉમેરીને ખાવાના શોખીનો ઘણા છે. વૈજ્ઞાનિકોનું તો કહેવું છે કે બાફેલા બટેટાની સુગંધમાં પણ કંઈક અનોખું છે. તેમણે શોધી કાઢ્યું છે કે બાફેલા બટેટાની સુગંધથી મન પ્રફુલ્લિત થાય છે.
બટેટા બફાતા હોય ત્યારે એની સુગંધ મળવાથી મગજમાં પોઝિટીવ અસરો ઊભી થાય છે.
એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં બટેટાને ઓવનમાં કલાકના ૧૪૦ ડિગ્રીના તાપે બાફવામાં આવ્યા હતા અને બાદમાં તેની સુગંધ ફેલાયા બાદ ત્યાં હાજર રખાયેલી વ્યક્તિઓને પૂછવામાં આવ્યું હતું તમારી લાગણીમાં ખાસ ફરક પડ્યો? જો પડ્યો તો શું પડ્યો? મોટા ભાગના લોકોએ ખુશ થઈને કહ્યું કે અમારા મનમાં જૂની યાદ તાજી થઈ. અમને બાળપણ યાદ આવી ગયું, જેમ કે, અમારા દાદા-દાદી યાદ આવી ગયા અને પરિવાર સાથે ભોજનની માણેલી મજાની ઘડીઓ યાદ આવી ગઈ.
સંશોધનમાં આગેવાની લેનાર અવિનાશ કાંતે કહ્યું કે, આ પોઝિટીવ લાગણીઓને ‘મઈલાર્ડ ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. ફૂડ અરોમાઝ અને તેમનાથી મગજ પર થનારી અસરની જાણકારી સંશોધકોને તાજેતરમાં જ થઈ છે.



















