કાઠમંડુ – નેપાળમાં હિમાલય પર્વતમાળાના એક ઊંચા શિખરને સર કરવા માટે પર્વતારોહકોની એક ટૂકડી નીકળી હતી ત્યારે રવિવારે હિમપ્રપાત થતા ઓછામાં ઓછા ૯ પર્વતારોહકો માર્યા ગયા છે અને બીજાં ૬ લાપતા થયા છે.
મોટા ભાગના પર્વતારોહકો ફ્રેન્ચ કે જર્મન હતા.
નેપાળી ગાઈડ અને એક જર્મન પર્વતારોહકના મૃતદેહો હિમપ્રપાતની જાણ થયા બાદ તરત મળી આવ્યા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરમાંથી બચાવ પાઈલટોએ ઉત્તર નેપાળમાં માઉન્ટ મનાસ્લુના ઢોળાવ પર બીજા સાત મૃતદેહોને પડેલો જોયા હતા. આ શિખર વિશ્વમાં સૌથી ઊંચા શિખરોમાં ૮મા નંબરે આવે છે.
પર્વતારોહકોની ટૂકડીના દસ સભ્યો બચી જવા પામ્યા છે, પરંતુ એમાંના ઘણા ઈજા પામ્યા છે. એમને હેલિકોપ્ટરો દ્વારા હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
પર્વતારોહકો માઉન્ટ મનાસ્લુ પર ૭૦૦૦ મીટર (૨૨,૯૬૦ ફૂટે) આવેલા બેઝ કેમ્પ ખાતે હતા ત્યારે હિમપ્રપાત થયો હતો. શિખર ૮,૧૫૬ મીટર (૨૬,૭૬૦ ફૂટ) ઊંચે આવેલું છે.



















