દુબઈ – ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ ગયેલી ૨૦૧૧ વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ ફિક્સ કરાઈ હતી એવા અહેવાલોમાં પોતે તપાસ કરી રહી હોવાના બ્રિટનના એક અખબારના દાવાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નકારી કાઢ્યો છે.
સનડે ટાઈમ્સ અખબારના અહેવાલને આઈસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ હારુન લોર્ગટે પાયાવિહોણો અને ગેરમાર્ગે દોરનારો કહીને નકારી કાઢ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આઈસીસી તે મેચના પરિણામ અંગે કોઈ પ્રકારની તપાસ કરે એનું કોઈ કારણ જ નથી.
અગાઉ અખબારનો એવો દાવો હરતો કે ભારતમાંના ઘણા બૂકીઓએ ઘણી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોને તેમની ટાર્ગેટ બનાવી હતી અને વર્લ્ડ કપ સેમી ફાઈનલ મેચ તેમાંની એક હતી. મેચ-ફિક્સિંગ કૌભાંડમાં બૂકીઓએ ઘણા દેશોના ક્રિકેટરો તથા બોલીવૂડની એક અભિનેત્રીને પણ સામેલ કરી હોવાનો પણ તે અહેવાલે દાવો કર્યો હતો.



















