મુંબઈ – રવિવારે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની લીગ મેચ હારી ગયા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું માનવું છે કે જો કોઈક બીજો દિવસ હોત તો તેની ટીમ જીતી હોત.
છેલ્લા ત્રણ બોલમાં મુંબઈને જીત માટે ૧૪ રન કરવાના હતા ત્યારે બ્રાવોને ચેન્નઈની જીતની આશા હતી.
‘એમનો ડ્વેન સ્મિથ દાવમાં હતો. એ જબરો હિટર છે. મને ચેન્નઈ જીતશે એવી આશા હતી. જો કોઈ બીજો દિવસ હોત તો ચોક્કસ ચેન્નઈ જીત્યું હોત. ખેર, મુંબઈએ પણ મોટો જુમલો ચેઝ કરવામાં સારી હિંમત બતાવી,’ એમ બ્રાવોએ કહ્યું.
ડ્વેન સ્મિથે ચોગ્ગાઓની બોલાવેલી રમઝટ બાદ આઈપીએલની વર્તમાન મોસમમાં સારો દેખાવ કરનાર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓમાં એકનો ઉમેરો થયો છે. બ્રાવોએ કહ્યું કે, આ મોટી ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિયન ખેલાડીઓને સારું રમતાં જોઈને તેને બહુ ખુશી થઈ છે. અમે અમારી નેચરલ રમત રમીએ છીએ. આ જ અમારી સ્ટાઈલ છે. આવતા વર્ષની સ્પર્ધામાં આના કરતાં પણ વધારે વેસ્ટ ઈન્ડિયન ખેલાડીઓ જોડાય એવી હું આશા રાખું છું.



















