પુણે – પોતાની ટીમ પુણે વોરિયર્સ ઈન્ડિયા સહિત સમગ્ર આઈપીએલને અનેક વિવાદોએ ભરડો લીધો છે ત્યારે કેપ્ટન સૌરવ ગાંગુલીએ અમુક બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે.
તેનું કહેવું છે કે બીસીસીઆઈ દેશમાં ક્રિકેટની રમતનું શક્ય એટલી શ્રેષ્ઠ રીતે સંચાલન કરે છે.
લોકો ભલે બીસીસીઆઈની ટીકા કરે છે, પણ ભારતીય ક્રિકેટનું ખરેખર સરસ રીતે સંચાલન કરવા બદલ તેમણે આ સંસ્થાને યશ આપવો જોઈએ.
આઈપીએલમાં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડ અંગે ગાંગુલીએ કહ્યું કે, ક્રિકેટની દરેક ફોર્મેટમાં આવી બાબતો અંગે શંકા રહેવાની જ. એ બધું વ્યક્તિગત ખેલાડીઓ પર નિર્ભર છે. ફ્રેન્ચાઈઝીઓ એવી ગેરપ્રવૃત્તિઓ ચલાવવા દે એવું હું માનતો નથી.
મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથેના ઝઘડા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહ-માલિક શાહરૂખ ખાન પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પાંચ વર્ષના એસોસિએશને મૂકેલા પ્રતિબંધ વિશે ટિપ્પણી કરતા ગાંગુલીએ કહ્યું કે, શાહરૂખને મારી સલાહ છે કે તે થોડાક મહિનાઓ મગજને શાંત રાખે. જેમાં લાગણીના આવેશમાં આવીને પિત્તો ગુમાવી બેસે છે. એને કારણે તે બદનામ થાય છે. શાહરૂખ પર પ્રતિબંધ મૂકવાનું મુશ્કેલ છે, કારણ કે એ આઈપીએલ ટીમનો માલિક છે.



















