પુણે – ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌરવ ગાંગુલી હવે પુણે વોરિયર્સ ટીમનો કેપ્ટન રહ્યો નથી. તે હવે માત્ર ટીમના પથદર્શક તરીકેની જ ભૂમિકા ભજવશે. વર્તમાન સ્પર્ધામાં પુણે ટીમના કંગાળ દેખાવને પગલે ગાંગુલીના ભાવિ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો આ સાથે અંત આવી ગયો છે.
પુણે ટીમના માલિક સુબ્રત રૉયે ટીમમાં ગાંગુલીની ભાવિ ભૂમિકા અંગેની જાણકારી આપતા કહ્યું કે, ગાંગુલી હવે ટીમમાં માત્ર માર્ગદર્શક તરીકે જ ચાલુ રહેવા ઈચ્છે છે. આઈપીએલની હવે પછીની સીઝનમાં તે માત્ર માર્ગદર્શક જ રહેશે. સૌરવ આઈપીએલ-5ની અંતિમ મેચોમાં યુવા ખેલાડીઓને રમવાની તક આપવા ઈચ્છે છે.
પુણેની ટીમ લીગમાં તેની ૧૩ મેચોમાંથી ૯ હારી ચૂકી છે.
ફેફસાંના કેન્સરનું નિદાન થયા બાદ યુવરાજ સિંહને આરામ કરવાની ફરજ પડતાં પુણે ટીમના માલિકોએ તેને બદલે ગાંગુલીને સુકાની બનાવ્યો હતો.



















