ટ્રિનિડાડ એન્ડ ટોબેગોનાં વડાં પ્રધાન કમલા પરસાદ-બિસેસાર દસ-દિવસની ભારતની સત્તાવાર યાત્રા માટે શુક્રવાર, ૬ જાન્યુઆરીએ નવી દિલ્હી આવી પહોંચ્યાં. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડા પ્રધાન મનમોહન સિંહે કમલા બિસેસાર, એમનાં પતિ ગ્રેગરી બિસેસાર તથા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિમંડળમાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારા પણ આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે બિસેસારે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. મૂળ બિહારનાં કમલા બિસેસાર તેમનાં પતિ સાથે રાજઘાટ ખાતે પણ ગયા હતા અને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.












