વોશિંગ્ટન – માઈક્રોસોફ્ટ કંપનીએ તેના નવા ટેબ્લેટ કમ્પ્યુટરની પ્રસિદ્ધિ પાછળ ખૂબ જ ધ્યાન આપ્યું છે, તે છતાં ઝડપથી વિકસી રહેલી આ માર્કેટ પર આ વર્ષમાં તેની ખાસ અસર નહીં પડે એવું નિષ્ણાતોનું માનવું છે.
રિસર્ચ કંપની એબીઆઈ રિસર્ચનો અંદાજ છે કે ૨૦૧૨ના વર્ષમાં વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ RT બેઝ્ડ ટેબ્લેટ્સનો જાગતિક શિપમેન્ટ્સમાંનો હિસ્સો માત્ર ૧.૩ ટકા જ છે.
આનું એક કારણ એ છે કે હાલની વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા ઉત્પાદનો માર્કેટમાં ભરપુર છે જ્યારે નવી વિન્ડોઝ 8 અને વિન્ડોઝ RT ઓપરેટિંગ સિસ્ટમ્સ છેક ઓક્ટોબરમાં માર્કેટમાં આવે એવી ધારણા છે.
એપલના આઈપેડના વર્ચસ્વવાળી ટેબ્લેટ માર્કેટમાં અત્યાર સુધી માઈક્રોસોફ્ટની ગેરહાજરી હતી. હવે આ અઠવાડિયે માઈક્રોસોફ્ટ પોતાની બ્રાન્ડના ટેબ્લેટ્સ લોન્ચ કરશે જેને તેણે ‘સરફેસ’ નામ આપ્યું છે. જો કે તેની ઘણી વિગતો અને કિંમત હજી સુધી જાણી શકાઈ નથી.
એવું મનાય છે કે માઈક્રોસોફ્ટના સરફેસ ટેબ્લેટ્સ ખરીદવાનું મોટે ભાગે એવા બિઝનેસ ગ્રાહકો પસંદ કરશે જેમણે વિન્ડોઝ પીસીના બેઝ ઈન્સ્ટોલ કર્યા છે.
માઈક્રોસોફ્ટ માટે મોબાઈલ કમ્પ્યુટિંગ ટેબ્લેટની માર્કેટમાં જમાવટ કરવાનું આકરું બની રહેશે.
માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ બાલ્મેરે સરફેસને આઈપેડ માટે એક ચેલેન્જર ગણાવ્યું છે જેની વિશેષતા છે બિલ્ટ-ઈન સ્ટેન્ડ, ખૂબ જ પાતળા કવર્સ-કમ-કીબોર્ડ્સ, જે વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે.



















