મુંબઈ – અત્યાર સુધી મિથ મનાતી આવેલી સરસ્વતી નદીનો પતો વૈજ્ઞાનિકોએ મેળવી લીધો હોવાનો દાવો અમેરિકી વૈજ્ઞાનિક વેબસાઈટ ‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ’માં કરવામાં આવ્યો છે.
ભારત, પાકિસ્તાન, બ્રિટન, રોમાનિયા અને અમેરિકાના ભૂગર્ભ નિષ્ણાતો, ભૂઆકૃતિ વૈજ્ઞાનિકો, પુરાતત્વવેતાઓ તથા ગણિતશાસ્ત્રીઓએ સિદ્ધ કર્યું છે કે આજની ઘાઘર નદી જ પહેલાની સરસ્વતી નદી છે.
હવે આ નદી રણ વિસ્તારમાં પહોંચીને ગાયબ થઈ જાય છે અને માત્ર એક વરસાદી નદી બનીને રહી ગઈ છે.
નદીના પટની રેતીના વિશ્લેષણ, સ્થળાકૃતિ અને માનચિત્રો તેમજ અવકાશમાંથી લેવામાં આવેલી તસવીરોના આધારે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી દીધું છે કે પ્રાચીનકાલમાં ઘાઘર નદી વાસ્તવમાં બહુ મોટી નદી હતી, જેમાં હંમેશા પાણી ભરપૂર વહેતું હતું.
હડપ્પા સંસ્કૃતિના કાળમાં હિમાલયમાં જન્મ લેનારી આ વિશાળ નદી હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના રસ્તેથી આજના પાકિસ્તાની સિંધ પ્રદેશ સુધી જતી હતી.



















