નવી દિલ્હી – દેશના ત્રણ નિવૃત્ત ક્રિકેટરોએ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને લેખિતમાં જણાવ્યું છે કે તેઓ આઈપીએલના મુદ્દે અન્ય અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ સાથે નથી. આમ, ગેરરીતિઓનો આરોપ મૂકી આઈપીએલ ટુર્નામેન્ટ વિરુદ્ધના જંગમાં આઝાદ એકલો પડી ગયો છે.
આ ત્રણ નિવૃત્ત ક્રિકેટરો છે – મનિન્દર સિંહ, ગુરશરણ સિંહ અને સુરિન્દર ખન્ના. તેમણે બોર્ડને પત્ર લખીને તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આઝાદ સાથે આઈપીએલ નહીં, પણ બીજા મુદ્દાઓ ઉપર સાથે રહ્યા છે.
આ સ્પષ્ટતા કરી દેતા આ ત્રણ ક્રિકેટરોને બોર્ડે નિવૃત્ત ક્રિકેટરો માટે જાહેર કરેલું સ્પેશિયલ બોનસ મળશે. આ બોનસ બોર્ડે આઈપીએલના આયોજનમાંથી થયેલા નફામાંથી આપવાનું નક્કી કર્યું છે.
બોર્ડે ખેલાડીઓને તેમણે કારકિર્દી દરમિયાન રમેલી ટેસ્ટ મેચોની સંખ્યાને આધારે આ બોનસ આપવાનું નક્કી કર્યું છે. મનિન્દર સિંહને ૭૫ લાખ મળશે જ્યારે ગુરશરણ અને સુરિન્દર ખન્નાને ૩૦-૩૦ લાખ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અરૂણ જેટલીએ બોર્ડને વાકેફ કર્યું હતું કે કીર્તિ આઝાદ તથા બીજાં કેટલાક નિવૃત્ત ખેલાડીઓ ૨૦મેએ આઈપીએલ પર ધરણા પર બેઠા હતા. આ જાણકારી બાદ બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસને તપાસ કરાવી હતી. અમે તે ખેલાડીઓને પણ પૂછ્યું હતું કે તમે આઈપીએલની તરફેણમાં છો કે વિરોધમાં. અમે એ ત્રણેય ખેલાડીને તેમના મંતવ્યો લેખિતમાં આપવા જણાવ્યું હતું. અને તેમણે એમનું વલણ પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે. અમને તેમનો ઈમેલ મળ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે તેઓ કીર્તિ આઝાદ સાથે નથી અને આઈપીએલને ટેકો આપીએ છીએ.
ભૂતપૂર્વ ટેસ્ટ ફાસ્ટ બોલર વિવેક રાઝદાન પણ કીર્તિ આઝાદની નિકટનો છે અને ૨૦ મેએ કોટલા મેદાન પર આઈપીએલ વિરોધી ધરણા વખતે હાજર હતો, પરંતુ તેણે પણ આઝાદથી અંતર કરી લીધું છે.



















