નવી દિલ્હી – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવી દીધા બાદ ભારત સરકાર દેશમાં દવાઓની અજમાયશો દરમિયાન થતા મૃત્યુના કિસ્સાઓ પર ધ્યાન આપવાની છે.
એક અંદાજ મુજબ, દુનિયામાં દવાઓ માટે જે કુલ પરીક્ષણો કરવામાં આવે છે તેના દોઢ ટકા ભારતમાં થાય છે.
ક્લિનિકલ ટ્રાયલથી લગભગ દરરોજ એક વ્યક્તિનું મરણ થાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગયા વર્ષે જે ડ્રગ ટ્રાયલ્સ કરવામાં આવી હતી તેની સરખામણીમાં ભારતમાં આ વર્ષે ઓછા પરીક્ષણો થયા છે. અગાઉ આ આંકડો ૨૭.૭ ટકા હતો જે હવે ૨૦ ટકા છે.
છેલ્લા ચાર વર્ષથી દેશમાં ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન સરેરાશ દર સપ્તાહે ૧૦ જણનાં મરણ થાય છે. ૨૦૦૮ અને ૨૦૧૧ વચ્ચે ભારતમાં દવાઓના પરીક્ષણો દરમિયાન ૨,૦૩૧ જણનાં મરણ નિપજ્યા હતા. આમ, આ સરેરાશ દર અઠવાડિયે લગભગ ૧૦ જણની કે પ્રતિ દિન એક વ્યક્તિની થાય છે.
કેન્દ્ર સરકારે ક્લિનિકલ ટ્રાયલ્સની પરવાનગી દેવા માટે કરેલી વ્યવસ્થાની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી છે.



















