ભારતીય રેલવેએ મુંબઈ, અમદાવાદ અને પુણે શહેરોને જોડતી દેશની સૌપ્રથમ હાઈ-સ્પીડ ટ્રેન સેવા શરૂ કરવાનો પ્રોજેક્ટ નક્કી કર્યો છે.
આ પ્રોજેક્ટ પરનું કામકાજ આવતા વર્ષના નવેંબરમાં શરૂ કરવાની રેલવે મંત્રાલયની ધારણા છે.
૬૫૦ કિ.મી. લાંબા કોરિડોર પર ટ્રેનો કલાકના ૩૦૦ કિ.મી.ની ઝડપે દોડશે. તેને લીધે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની ટ્રેન મુસાફરી સાત કલાકથી ઘટીને અઢી કલાકની થઈ જશે.
આ રેલવે લાઈન શરૂ થઈ ગયા બાદ વર્ષેદહાડે લગભગ ૧૧ લાખ લોકો તેનો લાભ લેશે.
અમેરિકા, રશિયા અને ચીન બાદ સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવનાર ભારત ચોથો દેશ છે. પરંતુ ભારતમાં હજી સુધી ક્યાંય હાઈ-સ્પીડ રેલવે લાઈનો નાખવામાં આવી નથી.
ભારતમાં હાલ ફાસ્ટેસ્ટ ટ્રેન છે ભોપાલ શતાબ્દી જે કલાકના ૧૫૦ કિ.મી.ની ઝડપે દોડે છે.
ભારતમાં ટ્રેન ટ્રાન્સપોર્ટનું મહત્વનું સાધન છે અને દરરોજ લગભગ બે કરોડ લોકો ટ્રેન પ્રવાસ કરે છે.



















