લગ્નજીવન સફળતાપૂર્વક ચાલે એ માટે અનેક ચાવીઓ છે, પણ આશ્ચર્યજનક રીતે કેટલાક લોકોનું માનવું છે કે ગુસ્સે થાવું તે પણ એમાંની જ એક ચાવી છે.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોએ એ જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો કે કેટલાક સંબંધો ખૂબ લાંબા કઈ રીતે ચાલે છે અને બીજા અમુક કેમ જલદી નિષ્ફળ જાય છે.
અભ્યાસના આધારે તેમને માલૂમ પડ્યું છે કે ગુસ્સે થાવું એ સફળ લગ્નજીવનનો એક ઉપાય છે.
જો કે આ તારણ ‘પોઝિટીવ સાઈકોલોજી’ના ટ્રેન્ડથી વિપરીત છે. આ ટ્રેન્ડમાં દંપતિને શીખડાવવામાં આવે છે કે જીવનસાથીની કોઈ ગંભીર ભૂલને લીધે લગ્નજીવનમાં જો ભંગાણ પડ્યું હોય તો તે એકબીજાને માફ કરી દેવાની વૃત્તિ અપનાવવાથી, આશાવાદી બનવાથી, જીવનસાથી પ્રત્યે દયાળુ બનવાથી અને પોઝિટીવ થિન્કિંગ રાખવાથી દૂર થઈ શકે છે.
પરંતુ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક જેમ્સ મેકનલ્ટીનું કહેવું છે કે કેટલીક વાર ટૂંકા ગાળાનો રોષપૂર્વકનો વ્યવહાર, પણ પ્રામાણિક પ્રકારની વાતચીત લાંબા ગાળે પતિ-પત્ની વચ્ચેના સંબંધને લાભકર્તા નીવડી શકે છે.
આ વાત ખાસ કરીને એવા જક્કી વલણવાળા જીવનસાથીઓ માટે રીતે લાગુ પડે છે જે પોતાના જીવનસાથીના સારા સ્વભાવનો અને માફ કરી દેવાની નિખાલસતાનો ગેરલાભ ઉઠાવે છે.
પોતાની ભૂલને જીવનસાથી માફ કરી દેશે એવું માનતા લોકો ઓછા ગુના કરે એવો સંભવ હોય છે, પણ તેની સરખામણીમાં જક્કી સ્વભાવવાળા લોકો એમના ખૂબ જ શાંત જીવનસાથીની વિરુદ્ધમાં જાય એવી સંભાવના વધારે રહે છે.
ગુસ્સો વ્યક્ત કરવો તે જીવનસાથીને તેનું વાંધાજનક વર્તન સ્વીકાર્ય નથી એનો નિર્દેશ કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. સંબંધને જાળવી રાખવા માટે દુનિયામાં કોઈ ‘જાદુઈ ઈલાજ’ ઉપલબ્ધ નથી તેમજ સંબંધમાં વિચારસરણી અને વર્તણૂંકની કોઈ ચોક્કસ માન્યતા સ્થાપિત થયેલી નથી. આપણે આપણા સંબંધોમાં જે પ્રત્યેક નિર્ણય લઈએ તેના પરિણામોનો તે સમયે પ્રવર્તતા સંજોગો પર આધાર રહેતો હોય છે.



















