Home Blog

આ રાજ્યોમાં તો બેટીઓ જ ઓછી છે, પઢાવશો કોને?!

દીકરી એ ઘરની જ નહીં, પણ રાષ્ટ્રની શક્તિ છે. આ સૂત્રને સાર્થક કરવા માટે ગઈકાલે એટલે કે 24 જાન્યુઆરીએ ભારતભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day)ની ઉત્સાહભેર ઉજવણી થઈ. 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પરંતુ દીકરીઓના સન્માન અને સુરક્ષા માટેનો એક દેશવ્યાપી સંકલ્પ છે.

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓ સામે થતા ભેદભાવ અને અસમાનતાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. દીકરીઓના શિક્ષણ, ઉત્તમ આરોગ્ય અને પોષણક્ષમ આહારના અધિકારની હિમાયત કરતા આ દિવસનો પાયાનો વિચાર એમને એક એવું ભયમુક્ત અને સશક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે, જ્યાં તેઓ પૂર્વગ્રહોની બેડીઓ તોડીને આકાશ આંબી શકે. જો કે આજે પણ દેશના એવા અનેક રાજ્ય છે, જ્યાં દીકરાઓની તુલનામાં દીકરીઓની સંખ્યા ઓછી છે.

ચાલો જાણીએ એ પાંચ રાજ્ય વિશે, જ્યાં સ્ત્રી લિંગ ગુણોત્તર હજુ પણ એક મોટો પડકાર છે… 

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરમાં લિંગ ગુણોત્તરનું ઓછું પ્રમાણ એક ચિંતાજનક બાબત રહી છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને દાયકાઓથી ચાલી આવતી સામાજિક-રાજકીય અસ્થિરતાને કારણે આરોગ્ય સુવિધાઓ અને જાગૃતિ પર માઠી અસર પડી છે. અસ્થિર વાતાવરણમાં દીકરીઓની સુરક્ષાને લઈને માતા-પિતામાં રહેલી ચિંતા ક્યારેક દીકરીના જન્મ પ્રત્યે અનિચ્છા પેદા કરે છે. તાજેતરના આંકડાકીય અહેવાલો મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 890 જેટલી છે, જે અન્ય પહાડી રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે.

પંજાબ

પંજાબમાં આર્થિક સમૃદ્ધિ હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં મોટી અસમાનતા જોવા મળે છે. અહીં જમીનના ટુકડા ન થાય અને પરિવારની મિલકત પરિવારમાં જ રહે એ હેતુથી દીકરાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત, પંજાબી સંસ્કૃતિમાં દહેજ પ્રથા અને લગ્ન પાછળ થતા અઢળક ખર્ચને કારણે અનેક પરિવારો દીકરીના જન્મને આર્થિક ભાર ગણે છે. શહેરી વિસ્તારોમાં પણ ‘નાનું કુટુંબ, માત્ર દીકરો’ એવી માનસિકતાને કારણે લિંગ પસંદગીના કિસ્સાઓ વધે છે. પંજાબમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 900ની આસપાસ છે.

ગુજરાત

ગુજરાત એક ઔદ્યોગિક અને વિકસિત રાજ્ય હોવા છતાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લિંગ ગુણોત્તર હજુ પણ પડકારજનક છે. અહીં આર્થિક સદ્ધરતા હોવા છતાં સામાજિક સ્તરે દીકરાની અપેક્ષા રાખવામાં આવે છે. વેપારી માનસિકતા ધરાવતા કેટલાક વર્ગોમાં દીકરો વ્યવસાય સંભાળશે એવી માન્યતાને કારણે દીકરીઓની અવગણના થાય છે.  ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ અંદાજે 919ની આસપાસ છે.

હરિયાણા

હરિયાણામાં દીકરીઓની સંખ્યા ઓછી હોવાનું સૌથી મોટું કારણ વર્ષોથી ચાલી આવતી કઠોર પિતૃસત્તાક વ્યવસ્થા છે. અહીં ખેતીવાડી અને વારસાગત સંપત્તિ માટે દીકરો હોવો અનિવાર્ય માનવામાં આવે છે, જેના કારણે ‘પુત્ર પ્રાપ્તિની ઘેલછા’ અત્યંત તીવ્ર છે. સામાજિક રીતે પણ દીકરાને ‘વંશનો દીવો’ અને દીકરીને ‘આર્થિક બોજ’ ગણવાની માનસિકતાએ અહીં લિંગ ગુણોત્તરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વર્તમાન સમયમાં એક હજાર પુરુષોએ 923 સ્ત્રીઓ છે. સામાજિક સ્તરે હજુ ઘણો સુધારો જરૂરી છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં લિંગ અસમાનતાનું મુખ્ય કારણ જૂની અને રૂઢિચુસ્ત પરંપરાઓ છે. અહીં લાંબા સમય સુધી બાળ લગ્નની પ્રથા અસ્તિત્વમાં હતી, જે દીકરીઓના વિકાસમાં અવરોધક બની હતી. અંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો દીકરીને ‘પારકું ધન’ માની એના ઉછેરમાં ભેદભાવ રાખે છે. ગરીબી અને દહેજની બીક પણ દીકરીઓના જન્મને રોકવા માટે જવાબદાર છે. અહીં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અંદાજે 928 છે, જે હજુ પણ આદર્શ લિંગ ગુણોત્તરથી દૂર છે.

વર્તમાન સ્થિતિ…

વર્તમાન સમયમાં ભારત સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા અભિયાનોને કારણે લોકોની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)ના તાજેતરના અહેવાલ પ્રમાણે, દેશમાં લિંગ ગુણોત્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હવે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે એક હકારાત્મક સંકેત છે. શિક્ષણ ક્ષેત્રે પણ દીકરીઓ હવે દીકરાઓની સમકક્ષ પ્રગતિ કરી રહી છે અને રમતગમતથી લઈને અવકાશ વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. જોકે, હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં બાળ લગ્ન અને શિક્ષણ છોડી દેવા જેવી સમસ્યાઓ સામે લડવાનું બાકી છે.

હેતલ રાવ

વિમર્શથી દૃષ્ટિ સુધી : યુધિષ્ઠિરનું નેતૃત્વ આજના યુગ માટે

મહાભારતના ઉદ્યોગ પર્વમાં યુદ્ધ પહેલાં યુધિષ્ઠિર અને સંજય વચ્ચેનો સંવાદ માત્ર રાજકીય ઔપચારિકતા નથી, પરંતુ નેતૃત્વની ઊંડાણભરી શાળા છે, જ્યાં યુધિષ્ઠિરની મૌન દૃષ્ટિ, તીખા પ્રશ્નો અને વિચારશીલતા સ્પષ્ટ કરે છે કે સાચો નેતા ઉતાવળે નિર્ણય લેતો નથી; તે પહેલા સાંભળે છે, માહિતી એકત્ર કરે છે, વિવિધ દૃષ્ટિકોણને તોલે છે અને ત્યારબાદ જ દિશા નક્કી કરે છે. આ જ વિમર્શ છે, જે વિઝનને જન્મ આપે છે.

આજના સમયમાં સંચાલન ઘણીવાર ઝડપ, નિર્ણાયકતા અને તત્કાળ લેવાતા પગલાંને મહત્વ આપે છે, પરંતુ અનુભવ બતાવે છે કે ચર્ચા વિના લેવાયેલા નિર્ણયો ટૂંકા ગાળે ભલે અસરકારક લાગે છતાં લાંબા ગાળે જોખમી સાબિત થાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ગૃહયુદ્ધના કઠિન સમયમાં ‘Team of Rivals’ બનાવી, પોતાનો વિરોધ કરનારા નેતાઓને પણ કેબિનેટમાં સામેલ કર્યા, કારણ કે વિવિધ મતોથી જ સંતુલિત નિર્ણય શક્ય છે; ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, ફોર્ડ મોટર કંપનીના એલન મ્યુલાલીએ ગંભીર આર્થિક સંકટ દરમિયાન ખુલ્લી ચર્ચા સંસ્કૃતિ ઉભી કરી, જ્યાં ખરાબ સમાચાર છુપાવવાને બદલે બોર્ડરૂમમાં રજૂ થતા, પરિણામે કંપની સરકારી બેલઆઉટ વિના પુનઃજીવિત થઈ.

ભારતીય સંદર્ભમાં જોઈએ તો ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત એસ.વાય. કુરૈશીએ સંવેદનશીલ નિર્ણયો લેતા પહેલા તમામ હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા પર ભાર મૂક્યો, જેથી લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ જળવાયો.

આ તમામ ઉદાહરણો એક જ સત્ય તરફ ઈશારો કરે છે કે ચર્ચા-વિમર્શ નબળાઈ નથી, પરંતુ પરિપક્વતાની નિશાની છે—જ્યાં નેતા પ્રશ્નોથી ડરે નહીં, ત્યાં દિશા સ્પષ્ટ બને છે.

આજના યુગમાં અવાજ ઉંચો રાખનારને શક્તિશાળી માનવામાં આવે છે, જ્યારે યુધિષ્ઠિર યાદ અપાવે છે કે શાંત મન, ખુલ્લા કાન અને વિચારશીલ હૃદય ધરાવતો નેતા જ સંસ્થા અને સમાજને સુરક્ષિત ભવિષ્ય આપી શકે છે, કારણ કે વિમર્શથી જ દૃષ્ટિ જન્મે છે અને દૃષ્ટિ વિના નિર્ણય અંધકારમાં ભરેલું પગલું બની રહે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

બજેટમાં ટેક સેક્ટરની માગ, AIને સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવાય

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ નવમું બજેટ રજૂ કરશે. દેશનાં અન્ય તમામ સેક્ટર્સની જેમ માહિતી પ્રૌદ્યોગિકી (IT) અને ટેક સેક્ટરની પણ કેટલીક ખાસ માગો છે, જેને લઈને બજેટમાંથી શું મળશે તેના પર સૌની નજર છે. જાણો બજેટ 2026થી ટેક સેક્ટરની કેટલીક મહત્વપૂર્ણ અપેક્ષાઓ…

AI ને સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં બજેટ મદદરૂપ બને – ટેક સેક્ટર

AI પ્રત્યેના દૃષ્ટિકોણમાં મૂળભૂત બદલાવની જરૂર છે. AI ને માત્ર એક સ્વતંત્ર સોફ્ટવેર સેગમેન્ટ તરીકે નહીં, પરંતુ એક સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવવું જોઈએ. ભારત AI ક્રાંતિનાં દ્વાર પર ઊભું છે, તેથી બજેટમાં AI ને ફક્ત સોફ્ટવેર સેક્ટર તરીકે નહીં, પરંતુ એનર્જી અથવા ટેલિકોમની જેમ જ વ્યૂહાત્મક રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા મળવી જોઈએ.

MSMEનું ડિજિટલાઇઝેશન જરૂરી

દેશનું ડિજિટલ પરિવર્તન ઝડપ પકડી રહ્યું છે, પરંતુ વિકાસનો આગામી તબક્કો વિવિધ ઉદ્યોગોમાં, ખાસ કરીને MSME સેક્ટરમાં AIના વ્યાપક ઉપયોગ પર નિર્ભર છે. મોટા કોર્પોરેશન્સની તુલનામાં MSMEમાં AIનું અમલીકરણ હજુ પણ મર્યાદિત છે. આ ઉપરાંત, બજેટ 2026 પાસેથી અપેક્ષાઓ AI આધારિત લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ટેક્નોલોજી સુધી વિસ્તરે છે. સપ્લાય ચેઇન ટેક્નોલોજી માટે સરકાર તરફથી મોટા એલાનની જરૂર છે અને બજેટ તેના માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

IT અને ટેક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખર્ચનું અંતર ઘટાડવામાં આવે

આ વખતના બજેટમાં દેશના રિસર્ચ અને ડેવલપમેન્ટ ખર્ચમાં રહેલા અંતરને ઘટાડવા પર ભાર મૂકવાની જરૂર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 200 ટકા વેઇટેડ ડિડક્શનને ફરીથી અમલમાં લાવવાની જરૂર છે. ખાસ કરીને લાંબા ગાળાના ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપવા માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે.

ધર્માંતરણ મામલે પાંચ મુસ્લિમ સગીર યુવતીઓ સામે FIR

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક 16 વર્ષની હિંદુ મિત્રને બુરખો પહેરાવવાના મામલે પાંચ મુસ્લિમ સગીર યુવતીઓ સામે FIR નોંધવામાં આવી છે. જેમની સામે FIR નોંધાઈ છે, તે તમામ યુવતીઓની ઉંમર 15થી 17 વર્ષ વચ્ચેની હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમની સામે ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 હેઠળ કેસ નોંધાયો છે.

આ ઘટના 12 ડિસેમ્બરની હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે યુવતીના ભાઈ દક્ષ ચૌધરીની ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો છે.

આ કાયદા મુજબ જો આરોપ સાબિત થાય અને પીડિત સગીર હોય તો દોષિતોને ઓછામાં ઓછાં 5 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કઠોર કેદની સજા થઈ શકે છે. મુરાદાબાદના SP (ગ્રામીણ) કુવર આકાશ સિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ફરિયાદ મળતાં જ FIR નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. ધર્માંતરણવિરોધી કાયદાની કલમ 3 હેઠળ ખોટી રજૂઆત, બળ, છેતરપિંડી, અયોગ્ય પ્રભાવ, દબાણ અને લાલચ દ્વારા એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધ છે.

ફરિયાદકર્તા ચૌધરીએ જણાવ્યું  હતું કે તેની બહેન તે યુવતીઓમાંની એક સાથે વાતચીત કરતી હતી, જેને તે લગભગ બે મહિના પહેલાં મળી હતી અને જેમની સાથે તે નિયમિત રીતે બહાર જતી હતી. ચૌધરીના જણાવ્યા મુજબ, બુરખો પહેરાવી તેની બહેનને અપહરણ કરનારી પાંચેય યુવતીઓની મનોવૃત્તિ ખોટી હોઈ શકે છે. તેથી તેણે બિલારી પોલીસ સ્ટેશનમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાનો એક કથિત વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

આ મામલા સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી યુવતીઓ અને હિંદુ યુવતી મિત્રો છે. તમામ સગીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે બપોરે તેઓ એક રેસ્ટોરાં તરફ જઈ રહી હતી, જે પીડિતાના ભાઈની દુકાનની સામેથી પસાર થાય છે. તેઓ નથી ઈચ્છતી કે તેના ભાઈને આ બાબતની જાણ થાય. પકડાઈ જવાની ભીતિથી હિંદુ યુવતીએ કદાચ પોતાની સહેલીનો બુરખો પહેરી લીધો હશે. અધિકારીએ આગળ જણાવ્યું કે મામલો સંવેદનશીલ હોવાથી પરિવારના સભ્યની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે.

કોરબામાં ફિલ્મી ઢબે 40 વર્ષ જૂના લોખંડના પૂલની ચોરી

કોરબાઃ છત્તીસગઢના કોરબામાં નહેર પર બનાવાયેલો લગભગ 40 વર્ષ જૂનો, 10 ટન વજનનો એક નાનો લોખંડનો પૂલ રાતોરાત ચોરી થઈ ગયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ઘટનામાં 15 લોકો સામેલ હતા, જેમણે કથિત રીતે ગેસ કટરનો ઉપયોગ કરીને પુલ કાપ્યો અને તેને ભંગારમાં વેચી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલે અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કોરબા જિલ્લાના વધારાના પોલીસ અધ્યક્ષ લખન પટેલે જણાવ્યું કે 18 જાન્યુઆરીની સવારે લોકોએ જોયું કે ઢોઢીપારા વિસ્તારમાં નહેર પાર કરવા માટે બનાવાયેલો લોખંડનો પુલ ગાયબ છે. ત્યાર બાદ લોકોએ વોર્ડના કોર્પોરેટર લક્ષ્મણ શ્રીવાસને તેની જાણ કરી. પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેટરની માહિતી બાદ સીએસઈબી પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી, જેને આધારે તપાસ માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂલ કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો અને આ ચોરીમાં સામેલ તમામ 15 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે.

10 આરોપીઓની શોધમાં પોલીસ

એડિશનલ પોલીસ અધ્યક્ષે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી લોચન કેવટ (20), જયસિંહ રાજપૂત (23), મોતી પ્રજાપતિ (27), સુમિત સાહુ (19) અને કેશવપુરી ગોસ્વામી ઉર્ફે ‘પિક્ચર’ (22)ની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂલ ચોરી કરવાની કબૂલાત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસના મુખ્ય આરોપી મુકેશ સાહુ અને અસલમ ખાન સહિત 10 આરોપીઓ હજી ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે.

નહેરમાં છુપાવ્યું સાત ટન લોખંડ

સીએસઈબી પોલીસ ચોકીના પ્રભારી ભીમસેન યાદવે જણાવ્યું કે ચોરી બાદ નહેરની અંદર છુપાવેલું લગભગ સાત ટન લોખંડ પોલીસે જપ્ત કર્યું છે. એ સાથે-સાથે ચોરીનું લોખંડ લઈ જવા માટે વપરાયેલું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે બાકીની ચોરાયેલ સામગ્રી ક્યાં વેચવામાં આવી છે તેની પણ તપાસ ચાલી રહી છે.

શું અમેરિકા ભારત પરથી 25 ટકા ટેરિફ દૂર કરશે?

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલતા તણાવ વચ્ચે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ સપ્તાહે દાવોસમાં યોજાયેલા એક સંમેલનમાં સંકેત આપ્યો હતો કે રશિયાથી તેલ ખરીદવાને કારણે ભારત પર લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફમાં ટ્રમ્પ સરકાર રાહત આપી શકે છે. જો ટ્રમ્પ પ્રશાસન આવો કોઈ નિર્ણય લે છે, તો તે ભારત માટે ચોક્કસપણે સારા સમાચાર સાબિત થશે.

યુક્રેન-રશિયા યુદ્ધ છતાં રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવાયેલાં દંડાત્મક પગલાંને કારણે ભારતને હાલ કુલ 50 ટકા ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે. દાવોસ 2025 શિખર સંમેલનમાં બેસેન્ટનું નિવેદન દક્ષિણ એશિયાઈ દેશો માટે આશાની કિરણ તરીકે સામે આવ્યું છે, કારણ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે બંને દેશો વચ્ચે “એક સારો કરાર થવાનો છે.”

સ્કોટ બેસેન્ટનો દાવો શું છે?

અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા દાવોસ 2026 સંમેલનમાં યુએસએ હાઉસમાં કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, જેને કારણે ભારતીય રિફાઇનરીઓ દ્વારા તેલની ખરીદી લગભગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા રશિયન તેલની ખરીદીમાં ઘટાડો થવો એક સફળતા છે. રશિયા સાથે જોડાયેલા 25 ટકા તેલ ટેરિફ હજી પણ લાગુ છે, પરંતુ હવે તેને હટાવવાનો રસ્તો ખૂલતો દેખાઈ રહ્યો છે.

બેસેન્ટે PM મોદીની પ્રશંસા કરી

બેસેન્ટે કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારતે ખરીદી ઘટાડી અને રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું.

દાવોસમાં બેસેન્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવામાં આવ્યા હોવા છતાં બંને દેશો વચ્ચે તણાવની ચર્ચાઓ ચાલે છે, પરંતુ તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત પીએમ મોદીને “સારા મિત્ર” તરીકે સંબોધતા રહ્યા છે.

તલ, ખજૂર, ઘી, ગોળનું અત્યારે શું કામ છે?

પ્રશ્ન: મારે પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. મારા રિપોર્ટ્સમાં હિમોગ્લોબીન ઓછું બતાવે છે. મારા ગાયનેકોલોજિસ્ટે આયર્ન તથા ફોલિક એસિડની દવા શરૂ કરાવી છે, પરંતુ એવો કયો આહાર છે જે હિમોગ્લોબીન વધારે અને પ્રેગ્નન્સીમાં પણ લઈ શકાય?
– વિભા કાલરીયા (જૂનાગઢ)

ઉત્તર: પ્રેગ્નન્સીનો આ તબક્કો હિમોગ્લોબીન સારા પ્રમાણમાં જાળવી રાખવા માટે હોય છે કારણ કે આ સમયે ભ્રુણમાંથી બાળક તૈયાર થઇ રહ્યું હોય છે. એ માટે આયર્ન ફોલિક એસિડ, કેલ્શિયમ અને પ્રોટીનની જરૂરત વધે છે.

એ માટે આહારમાં પાલક, લીલા પાનવાળા શાકભાજી, ખજૂર, દાળિયા, દાડમ, ગોળ, પૌંવા વગેરે જેવા વધુ આયર્નયુક્ત ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધારવો. જો કે એ બાબતનું ધ્યાન રાખવું કે આયર્નના શરીરમાં ભળે અને યોગ્ય ઉપયોગ થાય એ માટે (એબ્ઝોર્પશન) સાથે વિટામિન-સી લેવું જરૂરી છે, જે ખટાશવાળા ફળોમાંથી સારા પ્રમાણમાં મળે છે. જેમ કે અગર પાલકનું સૂપ લઇ રહ્યા છો તો તેમાં ટામેટા અથવા લીંબુ ઉમેરીને ઉપયોગમાં લેવું. દાડમના જ્યુસમાં આયર્ન તેમ જ વિટામિન બંને રહેલા છે છતાં પણ એમાં આંબળાનો રસ ઉમેરી શકાય. પૌવામાં સારા પ્રમાણમાં લીંબુ ઉમેરો. આ પ્રકારના સંયોજનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય.

હાથલાનો જ્યુસ (જેને ફિંડલાનો જ્યુસ પણ કહેવામાં આવે છે) એ થોરના છોડમાંથી મળી આવતો લાલ રંગનો ભાગ છે. તેમાં આયર્નનું પ્રમાણ ખૂબ સારું હોય છે. એ નિયમિત પીવાથી ઝડપથી હિમોગ્લોબીન વધારી શકાય છે. પરંતુ પ્રેગ્નન્સીમાં તેને લેવાની ભલામણ કરતા કોઈ પુરાવા નથી આથી એનો ઉપયોગ આ સમયે કરવો સલાહભર્યો ન કહી શકાય. છતાં પણ આ જ્યુસ નિયંત્રિત માત્રામાં લેવો હોય તો લઇ શકાય.

અલબત્ત, તમારે ડોક્ટરે સૂચવ્યા મુજબ નિયમિત દવા લેવી તો હિતાવહ રહેશે જ.

પ્રશ્ન: કયા પ્રકારનું નમક સ્વાસ્થ્ય માટે વધારે સારું છે?
– હિમાની ઠાકોર (અમદાવાદ)

ઉત્તર: નમક એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, જેના વગર ભોજનમાં સ્વાદ આવતો નથી. આ એક પ્રકારનું મિનરલ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે જો એ નિયંત્રિત માત્રામાં લેવામાં આવે. આપણી મીઠાંની દરરોજની  જરૂરિયાત લગભગ પાંચ ગ્રામ છે. એમાંથી બે ગ્રામ જેટલું નમક આપણને કુદરતી ખાદ્યસામગ્રીમાંથી જ મળી રહે છે. બાકીની જરૂરત આપણે મીઠાંને રસોઈમાં ઉમેરીને પૂરી કરીએ છીએ.

ખરેખર જોવા જઇએ તો કોઈપણ પ્રકારનું નમક બેસ્ટ નથી, પરંતુ નિર્ધારિત માત્રામાં લેવા માટે હિમાલયન પિન્ક સોલ્ટ, બ્લેક સોલ્ટ કે પછી કોઈ પણ બ્રાન્ડનું આયોડાઇઝડ સોલ્ટ પ્રમાણસર લઈ શકાય. બ્લડપ્રેશરની કે હાર્ટની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે હિમાલયન સોલ્ટ સારું ગણી શકાય કારણ કે એમાં પોટેશિયમ તેમજ સોડિયમની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે. કાલા નમક એટલે કે બ્લેક સોલ્ટ પણ જેમને ડાઈજેશનની તકલીફ હોય એમના માટે સારું છે. એ બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવા માટે પણ ઉપયોગી છે. એમાં રહેલા ટ્રેસ મિનરલ્સ પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે.

ઘણા લોકોને ઘણી ચીજમાં મીઠું ઉપરથી નાખવાની આદત હોય છે. દાળ કે શાકમાં નમક ઓછું હોય તો તરત જ ઉપરથી ઉમેરીને લે છે. સલાડમાં તો ઘણા લોકો મીઠું ભભરાવે છે. આ પ્રકારની ટેબલ સોલ્ટની આદત ચોક્સપણે નુકસાન કરી શકે. એમાં તમે કોઈપણ પ્રકારનું મીઠું લો, એ સ્વાસ્થ્ય બગાડનારું સાબિત થશે.

પ્રશ્ન: કહેવાય છે કે શિયાળામાં તલ, ગોળ, ઘી,ખજૂર ,દાળિયા વગેરે ચોક્કસપણે ખાવા જોઈએ. આ ચીજો આ સીઝનમાં લેવાનું શું કારણ છે?

– મીના કોટેચા (રાજકોટ)

ઉત્તર: શિયાળો પોતાની સાથે ઠંડો પવન, ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ લાવે છે, પરંતુ એ સુસ્તી, સાંધાના દુખાવો, શરીર જકડાઈ જવું જેવી ઠંડીને કારણે થતી અનેક સ્વાસ્થ્ય સમસ્યા પણ લાવે છે. આવી સ્થિતિમાં, તલ અને ગોળનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઇ શકે છે.

હા, શિયાળાની ઋતુમાં ખજૂર, તલ, ગોળ, ઘી વગેરે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ બધા પ્રકારના ખાદ્યો તમને ઘણી મોસમી સમસ્યાથી બચવામાં મદદ કરી શકે છે.

તલ, ગોળ, ખજૂર વગેરેમાં ગરમીની અસર હોય છે. તે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે.  જેનો ઉપયોગ શરીરમાં ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે જે આપણને શરદી, ફલૂ અને કફથી બચાવે છે. આ જ કારણથી ઉપરોક્ત સામગ્રીમાંથી બનાવેલી ચીક્કી તથા ખજૂર પાક પણ શિયાળામાં લેવાય છે.

શિયાળામાં કાઠિયાવાડી જમણમાં ગોળ ચોક્કસપણે હોય જ છે કારણ કે ગોળ એ ઉર્જાનો ભંડાર છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા ઉપરાંત તમારા ચયાપચયની ક્રિયા જાળવી રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. ગોળ એ એક કુદરતી ઉર્જા બુસ્ટર છે જે ઝડપથી પચી જાય છે અને ધીમે ધીમે લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે, જે તાત્કાલિક ઉર્જા પુરી પડે છે અને થાક પણ દૂર કરે છે.એ આયર્નનો ભરપૂર સ્ત્રોત છે અને એમાંથી કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં મળે છે એટલે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં પણ એ રાહતનું કામ કરશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

અમેરિકામાં ઇમર્જન્સી જાહેરઃ 6000થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ અમેરિકા હાલમાં એક અત્યંત ખતરનાક વિન્ટર સ્ટોર્મ (Winter Storm)ની ચપેટમાં છે, જેને કારણે દેશમાં ભયનો માહોલ છે. ભારે હિમવર્ષા, વરસાદ અને જાનલેવા ઠંડીને કારણે સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. આ ભીષણ તોફાનને કારણે 6000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને લાખો લોકોની મુસાફરીની યોજનાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

17 રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર

અમેરિકાના ઓછામાં ઓછાં 17 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં અલબામા, આર્કાન્સા, જ્યોર્જિયા, કાન્સાસ, કેન્ટુકી, લુસિયાના, મેરીલેન્ડ, મિસિસિપી, મિસૌરી,  ન્યુ જર્સી, ન્યુ યોર્ક, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, સાથધ કેરોલિના, ટેનન્સેસિયા, ટેક્સાસ, વર્જિનિયા અને વોશિંગ્ટન ડીસીનો સમાવેશ થાય છે. સ્થિતિ એટલી ગંભીર છે કે પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

વિનાશ મચાવી શકે છે તોફાન

આ ખતરનાક તોફાન લગભગ 1500 માઇલ સુધી ફેલાઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલ મુજબ તે 2000 માઇલથી વધુ વિસ્તારને પોતાની ચપેટમાં લઈ શકે છે. ટેક્સાસથી લઈને ન્યુ ઇંગ્લેન્ડ સુધી બરફ અને બરફીલા પવનનો કહેર જોવા મળી શકે છે. આવનારા અઠવાડિયામાં અમેરિકાની અડધીથી વધુ વસ્તીને શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડી શકે છે.

વોશિંગ્ટન ડીસીમાં સ્નો ઇમરજન્સી (Snow Emergency) લાગુ કરવામાં આવી છે. પ્રશાસને લોકોને સ્નો ઇમરજન્સી રૂટ પરથી વાહનો હટાવવાનો આદેશ આપ્યો છે. અંદાજ મુજબ અહીં ઓછામાં ઓછો નવ ઇંચ બરફ પડી શકે છે અને ત્યાર બાદ ફ્રીઝિંગ રેન સ્થિતિને વધુ જોખમી બનાવી શકે છે.

 6000થી વધુ ફ્લાઇટ્સ રદ

હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. શનિવારે 2836થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે રવિવારે અત્યાર સુધીમાં 3587 ઉડાનો રદ થઈ ચૂકી છે. આ રવિવાર ગયા એક વર્ષમાં અમેરિકાનો સૌથી ખરાબ દિવસ બની ગયો છે. રાજ્ય અને સ્થાનિક પ્રશાસને વીજ પુરવઠો બંધ થવો, પાણીની પાઇપલાઇનો જામ થવી અને રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થવાની ચેતવણી આપી છે. લોકો ડરના કારણે કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનોમાં જોવા મળ્યા અને ઘણા સ્ટોર્સની શેલ્ફ થોડા જ કલાકોમાં ખાલી થઈ ગઈ.