વાસ્તુ: શીવલિંગની પૂજા

મુલ્ય એટલે કીમત કે પછી જીવવાના નિયમો એ વિચારવું પડે તેવા સંજોગો ઉભા થાય એટલે નકારાત્મકતાની શરૂઆત દેખાય. બધું જ ખરીદી શકાય પણ માણસના સિદ્ધાંતોને નહિ એ વાત હવે જૂની થઇ ગઈ છે. કેટલાક લોકો પોતાની કીમત કહેતા દેખાય છે. અને એનો એમને ગર્વ પણ હોય છે. સતત કોઈને છેતરીને સુખી થવા માટે પ્રયત્નશીલ વ્યક્તિ ભૌતિકતાના આવરણ હેઠળ એટલી દબાઈ જાય છે કે એને પોતાના અંગત લોકો પાસે પર આર્થિક અપેક્ષાઓ ઉદ્ભવે એવું બને. વળી સાચું શું કે સારું શું એના બદલે આપણું કોણ છે? એ વિચાર પણ વધી રહ્યો છે. જાતિવાદ અને અનામત એ સંસ્કૃતિ માટે ઘાતક છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આજની પેઢીને સંસ્કાર કોણ આપશે? રીલ્સ જોઇને ઈતિહાસ અને ધર્મનું જ્ઞાન મેળવવું યોગ્ય નથી. વાતવાતમાં તૂટી પડવું. શક્તિ પ્રદર્શન કરવું, મોતના મલાજાના બદલે પોપ્યુલર થવા કોઈ પણ પ્રસંગે મોબાઈલમાં રીલ્સ બનાવવી જેવા દુષણો ઠેર ઠેર છે પણ ઘરમાં પણ એ લોકો નફીકરાઈ દેખાડે છે. કોઈ પણ રસ્તે પૈસા કમાવા અને પછી એને ઉડાડવા એ વિચારધારા ધરાવતા લોકો વધી રહ્યા છે. શું આનો કોઈ યુ ટર્ન ન હોઈ શકે?

જવાબ: બાળકોને મોબાઈલ આપીને પોતાની જવાબદારી માંથી છુટી જવાની વૃત્તિ આના માટે જવાબદાર છે. વ્યક્તિ જેની સાથે રહે છે એની માયા ઉદ્ભવે. આજની પેઢી સહુથી વધારે મોબાઈલ સાથે રહે છે. એમાં એ શું જુએ છે એની માહિતી ઘરમાં કોઈને હોય છે ખરી? બાળકને પ્રેમ આપવાના બદલે વસ્તુઓ આપતા માબાપ એમને વસ્તુઓથી પ્રેમ કરતા શીખવે છે. જે સમય જતો રહ્યો એને રડવાનો અર્થ નથી. માબાપ જયારે જવાબદારી શીખશે ત્યારે જ યુ ટર્ન આવી શકે.

પોતે ગોળ ખાતા હોય અને અન્યને ગોળ ન ખાવાની સલાહ આપનાર પેઢી પોતાની નવી પેઢી પાસેથી શું અપેક્ષા રાખવાની છે? સતત દેખાડો કરવાનો તણાવ અને જોયા જાણ્યા વિના રીલ્સ ફોરવર્ડ કરનારા લોકો એ જ વસ્તુ ન કરવાની સલાહ આપે તો એ કોણ માને? બાળકો તો માટીના પીંડ જેવા હોય છે. એને આકાર આપીને પકવવાનું કામ એનું વાતાવરણ કરે છે. પાકા ઘડે કાંઠા ન ચડે. આ પ્રક્રિયાની શરૂઆત બાળક ઘોડિયામાં હોય ત્યારે થવી જોઈએ. જે સમયે મહત્વકાંક્ષી માબાપ પોતે સોસીયલાઈઝ થવામાં પડ્યા હોય છે. અને પછી ફરિયાદો કરે છે. યોગ્ય સમયે બાળકને યોગ્ય સમય આપો. એને સુધારવાની જરૂર નહિ પડે.

સવાલ: હું એક શિક્ષક છું. મારા ઘરની બાજુમાં એક નવા પડોશી આવ્યા છે. એ થોડા વિચિત્ર છે. અમારા ઘર પાસે કચરો નાખી જાય, આવતા જતા ગંદુ પાણી રેડે, ઝગડા કરે. અમારે પડોશીઓ સાથે સંબધ જુના અને સારા છે. પણ આ નવા પડોશી એ લોકોની જ્ઞાતિના છે. અમે આવું ન કરવા માટે એમને સમજાવ્યા. તો એમણે અન્ય લોકોને અમારી વિરુદ્ધ ચડાવીને કહ્યું કે અમે અલગ જ્ઞાતિના છીએ. હવે એમની જ્ઞાતિ વાળા પણ અમને હેરાન કરે છે. આટલા વરસના સંબંધ ભૂલીને સતત એવું કહે છે કે પહેલા જ્ઞાતીભાઈ પછી તમે. શું આટલું બધું ગંદુ કોઈ વિચારી શકે? આ યોગ્ય છે? વાસ્તુની રીતે કોઈ ઉપાય આપોને.

જવાબ: ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા હતી જ નહિ. કર્મના આધારે વર્ણ નક્કી થતા. જ્ઞાતિવાદ એ સાંસ્કૃતિક પતન છે. આપણા દેશનો પ્રથમ પ્રશ્ન છે વસ્તી વધારો અને બીજો છે બેરોજગારી. જે લોકો પાસે કામ નથી એ નકારાત્મક વિચારણા ફેલાવી શકે. વળી જે તમારા નથી એમના જવાનું દુખ શા માટે કરવું? તમારા ઘરના ઈશાનમાં પાંચ તુલસી વાવી દયો. ચોક્કસ રાહત થશે.

સુચન: શિવલિંંગ કેટલું મોંઘુ છે એના કરતા મનમાં ભાવ કેવો છે એના આધારે પૂજાનું ફળ મળે છે.