વાસ્તુ: બ્રાન્ડ અને દેખાડાની દોડ

ચકલી માળામાં રહે છે અને સિંહ ગુફામાં. આવું આપણે વરસોથી વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. દરેક જીવ પોતાને અનુરૂપ રહેણાંકમાં રહે છે. ક્યારેય ચકલીને સુગરી જેવો માળો બનાવવાની ઈચ્છા કેમ નથી થતી? કારણ કે એને ખબર છે કે એવો માળો એ બનાવી શકશે નહીં. અને સૌથી અગત્યની વાત એ છે કે એ તેની જરૂરિયાત પણ નથી.

સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો પ્રાણી છે જે પોતાની જરૂરિયાતને સમજ્યા વિના માત્ર દેખાડા માટે ઘર બનાવે છે — એ છે માણસ. બિનજરૂરી ઇચ્છાઓની પૂર્તિ માટે નાહકનો તણાવ વહોરી લે છે. વળી, એમાં પણ બ્રાન્ડ પાછળની ઘેલછા તેની આ વૃત્તિને વધુ પ્રબળ બનાવે છે. સરળ અને સહજ વિશ્વમાં અસહજ એટલે માણસ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછો.

સવાલ: લગ્ન એટલે માત્ર દેખાડો? નાચ-ગાન, ઝૂમકા-ઠુમકા અને દારૂની મહેફિલ વિના લગ્ન ન થઈ શકે? મારી એક મિત્રના લગ્નમાં જવાનું થયું હતું. આ વાત એટલા માટે કહું છું કે દેખાડા પાછળ ભાગતા લોકોની આંખો ખુલે. લગ્ન માટે બધી જ જગ્યાએ એજન્સીઓ રાખવામાં આવી હતી. લગ્ન અમદાવાદમાં હતા અને ફોટોગ્રાફર સુરતનો રાખવામાં આવ્યો હતો.

એની સાથે મીટિંગ થઈ ત્યારે હું પણ હાજર હતી. જે તીવ્રતાથી એ એડવાન્સ માંગતો હતો, તે જોઈને મને ભરોસો આવ્યો નહીં. પરંતુ મારી મિત્રના પપ્પાના મિત્રનો મિત્ર હોવાથી મારી વાત કોઈએ ખાસ સાંભળી નહીં.

હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું. એટલે તેણે મને એક જાણીતી હિરોઈનના લગ્નનો વિડિયો બતાવ્યો, જે તેની ચેનલ પર હતો. કોઈનો ડેટા આ રીતે વાપરી શકાય નહીં. મેં તે હિરોઈનને કહ્યું તો તે ચોંકી ગઈ. એમનો એવો કોઈ કોન્ટ્રાક્ટ જ નહોતો.

મારી મિત્રના લગ્નમાં તે પોતે આવ્યો જ નહીં અને અમદાવાદના કોઈ લોકલ માણસોને મોકલી દીધા. એ લોકોને કેમેરા વાપરતા પણ યોગ્ય રીતે આવડતું નહોતું. મને તાત્કાલિક મારી ટીમ બોલાવવી પડી. એના માણસો ડેટા લઈને ભાગી ગયા. આવું જ પેલી હિરોઈન સાથે પણ થયું હતું.

હવે એ માણસ ફોન પણ ઉપાડતો નથી. જેના થકી ઓળખાણ થઈ હતી તે બિચારા પ્રયાસ કરે છે, પણ એમને પણ ગોળગોળ ફેરવે છે. આ આખી પ્રક્રિયામાં મારી મિત્રનો પણ થોડો વાંક છે, કારણ કે તે બ્રાન્ડ પાછળ દોડતા ફસાઈ ગઈ.

આવા લોકોની સંખ્યા અચાનક કેમ વધી રહી છે? શું આવા લેભાગુઓને સીધા કરવાનો કોઈ માર્ગ નથી?

જવાબ: તમે સાચું લખ્યું છે અને આવું લખવું જરૂરી છે. મોટા ભાગે લોકો છેતરાયા પછી ચૂપ થઈ જાય છે. લગ્ન દેખાડા માટે નથી હોતા. પૈસાનો વેડફાટ કરવાના બદલે તે ભવિષ્ય માટે સાચવી શકાય. સંબંધો સાચવવા જતા જે હેરાનગતિ થાય અને પોતાના પરિવારની અંગત તસ્વીરો આવા લેભાગુઓના હાથમાં જાય, તે બધું પછી મોટી સમસ્યા બની શકે.

જેને આપણે ઓળખતા હોઈએ એમને જ જવાબદારી સોંપવાની ભારતીય રીત ઘણી વખત વધુ યોગ્ય સાબિત થાય છે. માત્ર સોશિયલ મીડિયા દ્વારા કોઈને સાચી રીતે ઓળખી શકાય નહીં.

જો તમારો અનુભવ ખરાબ રહ્યો હોય તો અન્ય લોકોને ચેતવવું પણ જરૂરી છે. મોબાઇલમાંથી રેડિએશન પણ આવે છે અને તેનો વધુ પડતો ઉપયોગ આત્મવિશ્વાસ ઘટાડે છે. એવા સંજોગોમાં આવા લોકો વધુ ફાવે છે. પ્રાણાયામ, યોગ અને ધ્યાન જેવી પ્રક્રિયાઓ તથા મોબાઇલનો માત્ર જરૂરી ઉપયોગ જીવનમાં નવી ઊર્જા આપી શકે છે.

સૂચન: રીલ્સ જોઈને કોઈપણ શાસ્ત્રો શીખી શકાય નહીં. તેના માટે અનુભવી ગુરુ જરૂરી હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)