દેશભરમાં હાલ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામોની કારણ-મિમાંસા થઇ રહી છે. થવી પણ જોઇએ. ફક્ત
એટલા માટે કે નહીં કે ભાજપે મમતાદીદીના ગઢમાં ભગવો લહેરાવ્યો છે, પણ એટલા માટે કે આ પરિણામો પછી દેશનો રાજકીય નકશો બદલાઇ રહ્યો છે. બદલાઇ રહેલા રાજકીય સમીકરણો આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ અને 2029ની સામાન્ય ચૂંટણીની તાસીર નક્કી કરી શકે એમ છે.
કઇ રીતે? મુદ્દાસર સમજીએઃ
એકઃ આ પરિણામો પછી હવે દેશના 28માંથી 20 રાજયમાં ભાજપની એકલાની કે સહયોગી દળો સાથેની સરકાર છે. 2014માં ભાજપ દેશના 34 ટકા વિસ્તારમાં, 25 ટકા વસતિ પર શાસન કરતો હતો. આજે 2026માં એ 74 ટકા વિસ્તારમાં 78 ટકા વસતિ પર શાસન કરે છે. આઝાદી પછી દેશમાં જે સ્થાન કોંગ્રેસ ભોગવતી હતી એ સ્થાન આજે ભાજપ ભોગવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજકીય રીતે એટલા પાવરફૂલ સ્થિતિમાં છે કે આજે દેશની રાજકીય દશા-દિશા એ નક્કી કરી શકવાની સ્થિતિમાં છે.

બેઃ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પહેલીવાર કેન્દ્રમાં એકલાહાથે સત્તા પર આવ્યો ત્યારે એની જીતમાં સૌથી મોટો ફાળો ઉત્તરપ્રદેશ સહિત હિન્દીબેલ્ટના રાજ્યોનો હતો. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ સહિત સેવન સિસ્ટર ગણાતા રાજ્યોમાં ભાજપ ક્યાંય ચિત્રમાં નહોતો. 12 વર્ષમાં રાજકીય બાવો બદલાઇ ચૂક્યો છે. નકશા પર નજર કરો તો સમજાશે કે બંગાળને અડીને આવેલા ઝારખંડ સિવાય આખે આખા પૂર્વ ભારતમાં હવે ભાજપની સત્તા છે. પૂર્વમાં જે એકમાત્ર બંગાળ બાકી હતું એ પણ હવે ભાજપની ઝોળીમાં છે. જે ભાજપ એક સમયે ફક્ત હિન્દી બેલ્ટનો પક્ષ કહેવાતો એ આજે નોન-હિન્દી બેલ્ટમાં મજબૂતીથી મૂળીયાં નાખી રહ્યો છે.
ત્રણઃ કેરળમમાં કોંગ્રેસ યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટના નેજા તળે દસ વર્ષ પછી સત્તામાં વાપસી કરે છે એ ઘટના આ રાજકીય વાવાઝોડામાં અવગણવા જેવી નથી. દક્ષિણના રાજ્યોમાં નજર કરો તો, કર્ણાટક, તેલંગણા અને હવે કેરળમમાં કોંગ્રેસ સત્તામાં છે. તામિલનાડુમાં કોંગ્રેસ ડીએમકેનો સાથ છોડીને વિજેતા બનેલા એક્ટર વિજયની પાર્ટી સાથે હાથ મેળવે એવી કાનાફૂસી ઓલરેડી શરૂ થઇ ચૂકી છે. અલબત્ત, વિજયને કોંગ્રેસની જરૂર છે એના કરતાં કોંગ્રેસને સત્તામાં વિજયની સાથે રહેવાની વધારે જરૂર છે એટલે જો આ સમીકરણો આકાર લે તો દક્ષિણના રાજકીય નકશામાં કોંગ્રેસ ફરીથી કેન્દ્રમાં રહેશે. ઉત્તરમાં હિમાચલ પ્રદેશને બાદ કરતાં કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. પંજાબ ત્રિશંકુ છે અને મધ્યભારતના હિન્દી બેલ્ટ પર ભાજપ ડેરાતંબુ તાણીને બેઠું છે એ સંજોગોમાં દક્ષિણના રાજ્યો કોંગ્રેસના અસ્તિત્વ માટે ઓક્સિજન સમાન છે.

આ વાતને ધ્યાનમાં રાખો તો અત્યારે 2029ની સામાન્ય ચૂંટણીના જે સમીકરણો રચાતા દેખાઇ રહ્યા છે એમાં દક્ષિણમાં કોંગ્રેસ અને ઉત્તરમાં ભાજપ એમ લડાઇ લડાતી જોવા મળે છે. અને જો એમ થાય તો, પશ્ચિમ બંગાળ સહિત નોર્થ ભારત નિર્ણાયક ભૂમિકામાં આવી શકે. ઉત્તર પ્રદેશ પછી પશ્ચિમ બંગાળ દેશની રાજનીતિનું બીજું કેન્દ્ર બની શકે છે.
ચારઃ 1984માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે છેલ્લી વખત કેન્દ્રમાં એકલાહાથે બહુમતી મેળવી એ પછી 1989-90 પછીના સમયગાળામાં દેશમાં પ્રાદેશિક પક્ષો રાજકીય સમીકરણ રચવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા. છેક 2014 સુધી દેશનું રાજકીય ચિત્ર આ પ્રાદેશિક પક્ષો નક્કી કરતા આવ્યા. કોંગ્રેસનું પતન અને ભાજપનો ઉદય- આ સમયગાળામાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા રહી, પરંતુ ઉત્તર પ્રદેશમાં માયાવતી, બિહારમાં પહેલાં લાલુ અને હવે નીતિશ, દિલ્હીમાં કેજરીવાલ, મહારાષ્ટ્રમાં ઠાકરે, તામિલનાડુમાં સ્ટાલિન અને બંગાળમાં મમતાદીદી સહિત પ્રાદેશિક નેતાઓ હાર ખમી રહ્યા છે કે સાઇડલાઇન થઇ રહ્યા છે એ એમના રાજકીય અસ્તિત્વ સામે પડકાર છે. કેન્દ્રમાં નીતિશ-નાયડુના ટેકાથી સરકાર ચાલે છે, પણ નાયડુ કે નીતિશ બેમાંથી એકપણ મોદી-શાહને કંટ્રોલ કરવાની સ્થિતિમાં નથી. પ્રાદેશિક ચોકાઓમાં હવે ભાજપને સીધો પડકાર આપી શકે એવા એકમાત્ર નેતા અખિલેશ યાદવ બચ્યા છે. બાકીના તમામ પ્રાદેશિક નેતાઓના પોતાના જ ગઢ એટલા તૂટી ચૂક્યા છે કે એ ગઢ જાળવી રાખવો જ એમના માટે હવે પડકાર છે. ઇન શોર્ટ, નજીકના રાજકીય ભવિષ્યમાં આ પ્રાદેશિક પક્ષો દેશની રાજનીતિ નક્કી કરી શકવાની સ્થિતિમાં નથી.

પાંચઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજકીય રણનીતિ આક્રમક તો છે જ, સાથે એ રાજકીય જીદ પણ છે. એકવાર લક્ષ્ય નક્કી કર્યા પછી એ યેનકેન પ્રકારેણ હાંસલ કરવાની જીદ. સમય સાથે ન બદલાવાના મમતાદીદીના જક્કી વલણ સામે ભાજપની આ જીદે જ બંગાળમાં જીત અપાવી છે. આ જીદના કારણે જ ભાજપ એકવાર સત્તા મેળવ્યા પછી સત્તા છોડતો નથી. આસામ એનું છેલ્લું ઉદાહરણ છે. રાજકીય જીદથી સતત સત્તા હાંસલ કરવી અને હાંસલ કર્યા પછી સત્તા જાળવી રાખવી એ ભાજપનો ટ્રેક રેકોર્ડ જોતાં, અસાધારણ સંજોગો આકાર લે એ સિવાય આગામી સમયમાં ભાજપ એટલી ઝડપથી દેશ ઉપર પોતાની રાજકીય પકડ ગુમાવે એવું લાગતું નથી.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)




