મનોજકુમારના ‘ઉપકાર’ માં ખન્નાને બદલે ચોપરા આવ્યા!

મનોજકુમારની ‘ઉપકાર’ (૧૯૬૭) ભારતીય સિનેમાની એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે. આ ફિલ્મની કાસ્ટિંગ માટે થયેલી મથામણની વાતો ખૂબ જ રસપ્રદ છે. પૂરણ (નાના ભાઈ) ના રોલ માટે મનોજકુમારે જે પ્રક્રિયા કરી હતી તેમાં શશી કપૂરનું નામ ચોક્કસપણે વિચારવામાં આવ્યું હતું. બંને વચ્ચે સારા સંબંધો હતા.

મનોજકુમાર ‘ઉપકાર’ ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે પૂરણ વિદેશથી ભણીને આવે છે અને પછી સ્વાર્થી બની જાય છે તેના રોલ માટે શશી કપૂર એકદમ ફિટ બેસે છે. કારણ કે તેમનો દેખાવ સોફિસ્ટિકેટેડ અને ચોકલેટી હીરો જેવો હતો. પણ તે સમયે શશી કપૂર એક લોકપ્રિય રોમેન્ટિક હીરો તરીકે સ્થાપિત થઈ રહ્યા હતા. મનોજને ચિંતા હતી કે જો શશી આ પ્રકારનો નકારાત્મક રોલ કરશે તો તેમની રોમેન્ટિક હીરો તરીકેની ઈમેજને નુકસાન પહોંચી શકે છે.

એ જમાનામાં પ્રેક્ષકો હીરોને નેગેટિવ રોલમાં જોવાનું બહુ પસંદ કરતા નહોતા. શશી કપૂર સાથે મનોજકુમારે પાછળથી ‘રોટી કપડા ઔર મકાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, શશી પછી મનોજકુમારે આ રોલ નવા આવેલા રાજેશ ખન્નાને ઓફર કર્યો હતો.

ખન્નાએ તો આ રોલ સ્વીકારી પણ લીધો હતો અને તેઓ શૂટિંગ માટે તૈયાર હતા. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. રાજેશ ખન્નાએ ‘યુનાઈટેડ પ્રોડ્યુસર્સ’ અને ‘ફિલ્મફેર’ દ્વારા આયોજિત ‘ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ’ જીતી લીધી હતી.

આ સ્પર્ધા જીતવાને કારણે તેમની પાસે અન્ય મોટા પ્રોજેક્ટ્સ આવ્યા અને કરાર મુજબ તેઓ આ ફિલ્મ કરી શક્યા નહીં. છેવટે આ રોલ પ્રેમ ચોપરા પાસે ગયો. પ્રેમ ચોપરા માટે ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી અને તે બોલિવૂડના સૌથી મોટા વિલન તરીકે ઉભરી આવ્યા હતા. તે સમયે પ્રાણ માત્ર ખતરનાક વિલન તરીકે જ જાણીતા હતા.

લોકો તેમને જોઈને ડરતા હતા. જ્યારે મનોજકુમારે પ્રાણને ‘મલંગ કાકા’ ના પોઝિટિવ પાત્ર માટે લેવાનું નક્કી કર્યું ત્યારે ઘણા લોકોએ તેમને ચેતવણી આપી હતી કે ‘એક વિલન આટલું પવિત્ર પાત્ર કેવી રીતે ભજવી શકે? લોકો સ્વીકારશે નહીં.’ મનોજકુમારને પ્રાણની અભિનય ક્ષમતા પર પૂરો ભરોસો હતો. તેમણે પ્રાણને આ રોલ સમજાવ્યો. પ્રાણ પણ પોતાની વિલનની છબીમાંથી બહાર આવવા માંગતા હતા, તેથી તેમણે આ પડકાર સ્વીકાર્યો. ‘મલંગ કાકા’ તરીકે પ્રાણનો અભિનય એટલો અદભૂત રહ્યો કે તેના માટે તેમને તેમનો પહેલો ‘ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મનું અમર ગીત ‘કસમે વાદે પ્યાર વફા…’ જ્યારે પ્રાણ પર ફિલ્માવવામાં આવ્યું ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે કોઈએ કલ્પના નહોતી કરી કે ‘વિલન’ પ્રાણ પડદા પર આટલી ગંભીરતા અને લાગણીશીલતા સાથે ગીત ગાતા જોવા મળશે.

આ ફિલ્મ પછી જ પ્રાણની કારકિર્દીમાં ચરિત્ર અભિનેતાના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. પ્રાણ વિશેના પુસ્તકમાં એમના શબ્દો છે કે ઉપકાર પહેલા લોકો મને જોઈને પોતાની દીકરીઓને છુપાવી દેતા હતા અથવા ગાળો આપતા હતા. પણ આ ફિલ્મ પછી મને માનથી જોતા થયા.

લોકો મને પોતાના ઘરે દીકરીઓના લગ્નમાં આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપવા લાગ્યા હતા. એમણે કહ્યું હતું કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક વિલન તરીકે ઓળખાતો માણસ પડદા પર ભક્તિ ગીત ‘કસમે વાદે’ ગાશે અને લોકો તેને રડતી આંખે સ્વીકારશે. મનોજકુમારે મને મારી છબી બદલવાની તક આપી હતી. પ્રાણને ‘ઉપકાર’ માટે ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ નો ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યો હતો.