અનુરાધા પૌડવાલ અચાનક ગૃહિણીમાંથી ગાયિકા બન્યા! 

અનુરાધા પૌડવાલને સંગીતકાર એસ. ડી. બર્મનના સંગીતમાં એક સંસ્કૃત શ્લોક ગાવાની તક મળ્યા પછી ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ થઈ હતી. અનુરાધાના લગ્ન અરુણ પૌડવાલ સાથે થયા હતા. તે સંગીતકાર એસ. ડી. બર્મનના સહાયક તરીકે કામ કરી રહ્યા હતા. અનુરાધાને ગાવાનો શોખ હતો પણ પરિવારના કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે અચાનક તક આવશે. અરુણ સવારથી રાત સુધી બર્મનદા સાથે કામમાં રહેતા હતા. દિવસ દરમ્યાન અનુરાધાને ગાવાનો શોખ હોવાથી ઘરમાં ગાતા ગાતા કામ કરતાં હતા.

એક વખત અનુરાધાના સસરાએ અરુણને કહ્યું કે એને ગાવાનો શોખ છે તો ક્યાંક જોજે. ત્યારે અરુણને થયું હતું કે બર્મનદા આશાજી અને લતાજી જેવા મહાન ગાયક સાથે કામ કરે છે. એમને કેવી રીતે કહી શકે? અરૂણે કહ્યું કે એણે શીખ્યું નથી અને હું કેવી રીતે એમને કહી શકું? દરમ્યાનમાં બર્મનદાના સંગીતમાં ફિલ્મ ‘અભિમાન’ (૧૯૭૩) ના ગીતો તૈયાર થયા હતા અને એના બેકગ્રાઉન્ડ સંગીતનું કામ ચાલી રહ્યું હતું. એ દિવસે અરુણ બપોરે ઘરે જમવા આવ્યા હતા. અરુણને જલદી પાછા જવું હતું એટલે અનુરાધા રસોડામાં રોટલી વણતા હતા. અરુણને એક સંસ્કૃત શ્લોક તૈયાર કરીને બર્મનદાને સંભળાવવાનો હતો.

ફિલ્મમાં અમિતાભ પહેલી વખત દૂરથી મંદિર પાસે જયા ભાદુરીને શિવની સ્તુતિ કરતાં જુએ છે ત્યારે એ શ્લોક મૂકવાનો હતો. અરૂણે ઘરે આવી માતા પાસેથી એક શ્લોક ‘ઓમકારમ બિન્દુસંયુકતમ, નિત્યં ધ્યાયંતી યોગીના:’ મેળવ્યો. તે ટેપરેકોર્ડર લઈ રસોડામાં ગયા અને અનુરાધાને કહ્યું કે આ શ્લોક ગાઈ આપ. કેમકે સ્ત્રી સ્વરમાં કેવો લાગે છે એ એમણે બર્મનદાને સંભળાવવાનો હતો.

અનુરાધાએ શ્લોક ગાયો અને અરુણે એ બર્મનદાને સંભળાવ્યો. એમણે પૂછ્યું કે આ અવાજ કોનો છે? ત્યારે અરૂણે અનુરાધાનું નામ આપ્યું. એમણે આગળ પૂછ્યું કે તારી પત્ની ગાય છે? ત્યારે અરુણે કહ્યું કે ના, એ ઘરે શોખથી જ ગાય છે. એસ. ડી. બર્મને કહ્યું કે એને જ બોલાવી લો. એના જ અવાજમાં રેકોર્ડિંગ કરી લઈએ. અસલમાં એ શ્લોક લતાજીના સ્વરમાં રેકોર્ડ કરવાનો એમનો વિચાર હતો. પણ બે પંક્તિ માટે એમને બોલાવવાનું યોગ્ય લાગ્યું ન હતું.

અનુરાધાએ એ શ્લોકનું રેકોર્ડિંગ કર્યું ત્યારે પહેલી વખત કોઈ સ્ટુડિયોમાં પગ મૂક્યો હતો અને માઇક સામે ગાયું હતું. ત્યારે ત્રણ જ સંગીત સ્ટુડિયો હતા અને આ વાત ફેલાઈ ગઈ કે અનુરાધા ગાય છે. બીજા જ દિવસે સંગીતકાર જયદેવને ખબર પડી એટલે એમણે અનુરાધાને બોલાવી અને ગાયક મુકેશ સાથે એક ગીત રેકોર્ડ કર્યું. એ ફિલ્મ રજૂ ના થઇ શકી. પણ એક પછી એક ફિલ્મો મળવા લાગી. ‘કાલીચરણ’ (૧૯૭૬) માટે કલ્યાણજી- આણંદજીએ ‘એક બટ્ટા દો…’, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે ‘આપબીતી’ (૧૯૭૬) માટે ‘હમ તો ગરીબ’ ગવડાવ્યું અને ગૃહિણી અનુરાધાની ગાયિકા તરીકે કારકિર્દી ઝડપથી આગળ વધવા લાગી હતી.