ચીભડાના ચોરને ફાંસીની સજા

 

ચીભડાના ચોરને ફાંસીની સજા

ન્યાયનો સામાન્ય સિદ્ધાંત છે – જેવો ગુનો તેવી સજા. આ સિદ્ધાંતને ઉવેખીને જ્યારે કોઈ નાનો ગુનો થયો હોય અને તે સામે ઘણી મોટી સજા આપવામાં આવે ત્યારે આ પ્રકારના અંધેરી નગરીના ઇન્સાફને વર્ણવવા આ કહેવત ‘ચીભડાના ચોરને ફાંસીની સજા’ વપરાય છે.

જે જમાનામાં આ કહેવત ચલણમાં આવી હશે ત્યારે ચીભડું સાવ મફતના ભાવે મળતી, લગભગ કિંમત વગરની, વસ્તુ હશે અને એની ચોરી કરી હોય તે સામે દેહાંત દંડ જેવી આકરી સજા એટલે કે ફાંસીની સજા આપવામાં આવે તે કુદરતી ન્યાયના સિદ્ધાંત સાથે જરાય સુસંગત નથી.

આ પરિસ્થિતિમાં ખૂબ નાના ગુના બદલ થયેલ લગભગ અંતિમ કક્ષાની સજા જેવા અન્યાયનું નિરૂપણ આ કહેવત કરે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)