|
મોર પીંછે રળિયામણો
|
મોર જ્યારે કળા કરે ત્યારે સૌથી સુંદર લાગે છે. પીંછા વગરનો મોર હોય તો કળા કરવાની તો વાત જ ન થાય ને! બાળપણમાં એક કવિતા બીજા કે ત્રીજા ધોરણમાં ગવડાવતા –
મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર,
મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ.
મારો છે મોર, મારો છે મોર માળામાં બેસનાર, મારો છે મોર
મારી છે ઢેલ, મારી છે ઢેલ બારી એ બેસનાર, મારી છે ઢેલ
મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર
મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ
બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર
બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ

આમ જે રીતે રંગબેરંગી પીંછા મોરને શોભાવે છે તે જ રીતે માણસ સામાજિક પ્રાણી છે, આત્મીયતાના રંગબેરંગી સંબંધો એના વ્યક્તિત્વને નિખારે છે, એને શોભા આપે છે. બાકી એકલો અટૂલો ફરતો માણસ ગમે તેટલો મોટો બને તો પણ બાવળીયાનાં ઠૂંઠા જેવા આ માણસ માટે એવું કહેવાય છે કે – ‘બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહી ફલ લાગે અતિ દૂર’. સાચે જ મોર તો પીંછે જ રળિયામણો.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)



