| ટીંપે ટીંપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય |
કોઈ પણ મોટું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સમયપાલન, ધીરજ, સાતત્ય અને સહકાર જરૂરી છે. નાનાં-નાનાં પ્રયત્નો સતત થતા રહે ત્યારે જ મોટા પરિણામો પ્રાપ્ત થાય છે. આ જ વાત સમજાવતી સમાનાર્થી કહેવતો છે: ‘હાહ (શ્વાસ) ખાઈને હો (સો) ગાઉ જવાય’ અને ‘નાને કોળિયે વધુ જમાય.’

જીવનમાં બચત કરવી હોય, જ્ઞાન મેળવવું હોય કે કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરવું હોય, તેની શરૂઆત હંમેશા નાના પગલાંથી જ થાય છે. જેમ પાણીના એક-એક ટીપાંથી સરોવર ભરાય છે અને એક-એક કાંકરાથી મજબૂત પાળ બંધાય છે, તેમ સતત અને નિયમિત પ્રયત્નોથી જ મોટી સફળતા પ્રાપ્ત થાય છે.
આ સંદર્ભમાં ‘ટીંપે ટીંપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




