પૂજ્ય દાદા તરીકે ઓળખાતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભગવાનમાં શ્રદ્ધા રાખવા વિશે ઘણી વાર કહેતાઃ નિર્બળનું
બળ રામ.
ખરું પૂછો તો આપણી પાસે એના સિવાય કોઈ વિકલ્પ પણ નથી. જ્યારે આપણે પોતાની રીતે વિચારવાનું શરૂ કરીએ છીએ ત્યારે ગોટાળા થયા વગર રહેતા નથી. ડર, ચિંતા, ગુસ્સો, નિરાશા, લઘુતાગ્રંથિ, અસલામતી એ બધી જ લાગણીઓ આપણે ભગવાન પરનો ભરોસો છોડીને પોતાના વિચારો પર વધારે વિશ્વાસ કરવા લાગીએ ત્યારે જન્મતી હોય છે. બધી જ ચિંતાઓ ભગવાન પર છોડી દેવાનો અખતરો કરી જુઓ.
હું ભગવાનને ઘણી વખત કહેતો હોઉં છું, “ભગવાન તમે જ મને ચિંતાઓ આપી છે, હવે તમે જ એ પાછી લઈ લો. હવે એ તમારી સમસ્યા છે, મારી નહીં.” આટલું કહ્યા બાદ હું થોડી વાર આંટો મારવા નીકળી પડું છું અને વહેલી-મોડી એ સમસ્યા દૂર થઈ જાય છે. ક્યારેક તો માનવામાં ન આવે એ રીતે મને આવો અનુભવ થયો છે. ભગવાનને મહત્ત્વ આપો. એને ખબર પડવા દો કે એના વગર આપણે કંઈ કરી શકતા નથી. તમે કંઈ પણ કહો, આ હકીકત છે. ભગવાનને બધું કહેવાની આદત પડી ગયા બાદ આપણું ચિત્ત વધુ ને વધુ પ્રમાણમાં ભગવાનમાં રત થઈ જાય છે. આપણું મન જેટલું વધારે પ્રમાણમાં ભગવાનમાં ચોંટેલું રહેશે એટલી જ વધારે શાંતિ અનુભવાશે. એ વખતે જીવન સુંદર બની જશે અને તમે કહેશો, “લાઇફ ઇઝ બ્યૂટિફુલ.”

આપણી સંપત્તિ માટેના નિર્ણયો પણ ભગવાનને લેવા દો. આપણને કેટલું અને ક્યારે મળવું જોઈએ એ તેના પર છોડી દો. મારો મિત્ર અજય પોતે ક્યાંક વાંચેલું આ વાક્ય કેટલીય વાર મને કહેતો, “સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને કંઈ મળતું નથી.”
ભગવાનને જેટલું આપવું હશે એ આપશે એવું દૃઢપણે માનવા લાગીએ તો સંપત્તિ સાથે જોડાયેલી આપણી લાગણીઓ અદૃશ્ય થઈ જશે અને આપણી પાસે યોગિક સંપત્તિ આવી કહેવાશે.
સંપત્તિની જરૂરિયાત દરેક માણસ માટે અલગ અલગ હોય છે. એ જેટલી વધારે પ્રમાણમાં આવે, એટલી અસલામતી પણ વધારે લેતી આવે. પોતાની વર્તમાન જીવનશૈલીને ટકાવી રાખવાને લગતો ડર અને ચિંતા ઘાતક ઠરે છે. આપણે જીવન કરતાં જીવનશૈલીને વધુ મહત્ત્વ આપવા લાગીએ ત્યારે આવું થાય છે.
જ્યારે સંઘર્ષનો કાળ ચાલતો હોય ત્યારે પરિવારજનોને, મિત્રોને મળીને અને શોખના વિષયોમાં આગળ વધીને આપણને સારું લાગતું હોય છે. એ વખતે આપણી પાસે કેટલી ભૌતિક ચીજવસ્તુઓ છે અને આપણી જીવનશૈલી કેવી છે એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. સમય જતાં દરેકની જીવનશૈલી બદલાતી હોય છે. જ્યારે અનેક કાર, ટીવી, નોકર, વગેરે આવી જાય ત્યારે, આપણે વધુ ને વધુ પ્રમાણમાં ફરવા જવા લાગીએ, વધુ ને વધુ પ્રમાણમાં રેસ્ટોરાંમાં ખાવા જવાનું શરૂ કરી દઈએ ત્યારે એ બધી જ સુખસુવિધાઓ છિનવાઈ જવાનો ડર વધારે સતાવવા લાગે છે. એ તબક્કે આપણને મિત્રો અને પરિવારજનો, આપણા અલગ અલગ શોખ એ બધામાંથી આનંદ મળતો બંધ થઈ જાય છે.

અમારા એક પરિચિતે એક પાર્ટ ટાઇમ અને એક ફુલ ટાઇમ ઘરનોકર રાખ્યા છે. એ ઉપરાંત એક પાર્ટ ટાઇમ રસોઈયો અને એક ડ્રાઇવર છે. હવે ક્યારેક ડ્રાઇવર રજા માગે ત્યારે તેઓ અપસેટ થઈ જાય છે. ક્યારેક તો ડ્રાઇવર કયા સમયે કોને કારમાં લઈ જશે એ બાબતે પરિવારમાં દલીલો થવા માંડે છે. ડ્રાઇવર આવવા પહેલાં કારના ઉપયોગ બાબતે ક્યારેય આવી દલીલબાજી થતી ન હતી. પહેલાં પણ એક જ કાર હતી અને બધા એડજસ્ટ કરી લેતા.
જે ઘડીએ આપણી સુવિધાઓ અને આનંદ આપનારી બાબતોમાંથી પરિવાર, મિત્રો, શોખ એ બધું લુપ્ત થઈ જાય છે ત્યારે ચિંતા અને ડરની લાગણી ઘર કરી જાય છે. સારી જીવનશૈલી રાખવાની કોઈ ના પાડતું નથી, પરંતુ જો એ જીવનશૈલી તમારા મનની નબળાઈ બની જશે તો તમારું મન ચકરાવે ચડી જશે.
ભગવાન પર ભરોસો રાખો અને બધી ચિંતાઓ એના પર છોડીને પ્રસન્ન જીવન જીવો. યોગિક વેલ્થનો આનંદપૂર્વક ઉપભોગ કરો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)




