ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં તરબૂચ

ગરમીની ઋતુમાં સાધારણ રીતે કેરીના આગમન પહેલાં મળતાં થઈ જતાં તરબૂચ (કલિંગડ) ખાતાં જ ઠંડકનો અનુભવ થાય છે. પ્રમાણમાં સસ્તાં અને આસાનીથી મળી શકે એવા આ ફળના ઉપયોગથી ગરમીમાં રાહત તો થાય જ છે. આ ઉપરાંત, તેના બીજા ઘણા ફાયદા છે, જેના લીધે તરબૂચનું ફળ તરીકેનું મહત્ત્વ વધે છે.

એનો પહેલો ફાયદો એ કે તેમાં ખૂબ જ ઓછી કૅલરી હોય છે તેમજ મીઠાશ હોવા છતાં પણ તે એક લો શુગર ફ્રૂટ છે, એટલે ડાયાબિટીસ ધરાવતા લોકો પણ નિયંત્રિત પ્રમાણમાં આ ફળનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, કલિંગડમાં વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ, મૅગ્નેશિયમ તેમજ વિટામિન બી-૫ અને બી-૬ જેવા પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલા છે.

ગરમીમાં પાણી કે પ્રવાહી વધુ પ્રમાણમાં લેવાય તે જરૂરી છે, કારણ કે પ્રવાહી આપણને હાઈડ્રેટ રાખે છે. તેવી જ રીતે, એવા ફળો કે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેનો ઉપયોગ પણ આ સીઝનમાં ફાયદાકારક છે. તરબૂચમાં લગભગ ૯૨ ટકા જેટલો ભાગ પ્રવાહી હોય છે. બાકીના ભાગમાં રેસા તેમજ બીજ હોય છે, જે પણ પૌષ્ટિક છે.

વિટામિન-સી એ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, જે તરબૂચમાં સારા પ્રમાણમાં રહેલું છે. આ ઉપરાંત, તરબૂચમાં કેરોટિનોઇડ્સ તેમજ લાયકોપેન (એક પ્રકારનું વિટામિન-એ) હોય છે. લાયકોપેન મુખ્યત્વે લાલ રંગના ફળો કે શાકભાજીમાં રહેલું હોય છે, જે પણ એક પ્રકારનું ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. તેની મદદથી આંખ, વાળ, ત્વચા વગેરે સુંદર અને ચમકીલા બને છે. આ પ્રકારના વિટામિનમાં એવા તત્ત્વો પણ રહેલા છે, જે કેન્સર જેવી બીમારી સામે રક્ષણ આપી શકે છે.

હૃદયરોગ વિશ્વભરમાં મૃત્યુ માટેના કારણોમાં મોખરે છે. તરબૂચમાં એવા ઘણા પ્રકારના પોષક તત્ત્વો છે, જેના દ્વારા બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળે છે. એક તારણ મુજબ, તરબૂચમાં રહેલા લાયકોપેન તેમજ તરબૂચના બીજના ઉપયોગથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલ ઘટાડી શકાય છે. ૪૫ વર્ષની ઉંમર પછી પુરુષો તેમજ સ્ત્રીઓની રક્તવાહિનીઓમાં રક્ત પરિભ્રમણમાં થોડી ઘટ્ટતા આવે છે, જેના કારણે રક્તવાહિનીઓ થોડી કડક બને છે. લાયકોપેન આ ઘટ્ટતાને ઘટાડવામાં પણ મદદ કરે છે, જે તરબૂચમાં સારા પ્રમાણમાં હોય છે.

વિટામિન-એ પૂરતું હોવાને કારણે આંખના સ્વાસ્થ્ય માટે તરબૂચનો ઉપયોગ અસરકારક છે. દૃષ્ટિ સુધારવા, આંખ ચમકીલી બનાવવા અને અંધાપો આવતો અટકાવવા માટે પણ આ ફળ ઉપયોગી છે. તરબૂચ લીવરને એમોનિયા (પ્રોટીનના પાચનમાંથી નીકળતો કચરો)ના નિકાલની પ્રક્રિયામાં મદદ કરે છે, જે કિડની પરનો ભાર ઓછો કરે છે અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. પોટેશિયમથી સમૃદ્ધ તરબૂચ એક ઉત્તમ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ છે, જે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવી રાખીને ચેતાતંત્ર અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઍસિડિટી, ગૅસ તેમજ પાચન સંબંધિત તકલીફોમાં પણ તરબૂચનો ઉપયોગ કરી શકાય. કલિંગડથી ઍસિડિટી દૂર થઈ શકે છે, કારણ કે તે ઠંડક આપનારું છે. આ ઉપરાંત, તેમાં રહેલા રેસા અને બીજ કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. તેનો પાણીનો ભાગ પાચનક્રિયામાં સહાયક બને છે.

કસરત કરતી વખતે થતા સાંધા અને સ્નાયુના દુખાવામાં પણ આ ફળ ઉપયોગી છે. તરબૂચ ઓછી કૅલરી ધરાવતું હોવાથી વજન ઘટાડવા માટેના ડાયેટ પ્લાનમાં પણ તેનો સમાવેશ કરી શકાય. ત્વચાને રુક્ષ થતી અટકાવવામાં તેમજ ત્વચા પર ઉંમરને લગતી અસર (કરચલી પડવી, ત્વચા સંકોચાઈ જવી વગેરે) ઘટાડવામાં પણ પાણી વધુ ધરાવતા તેમજ લાલ રંગના ફળો ઉપયોગી છે. આથી જ ઘણી કૉસ્મેટિક તેમજ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તરબૂચનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવામાં આવે છે.

તરબૂચના બીજ પણ સારા પોષક તત્ત્વો ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તત્ત્વો રહેલા છે. આ ઉપરાંત, તેમાં પોલિઅનસેચ્યુરેટેડ ફૅટી એસિડ રહેલું છે, જેને ગુડ ફૅટ અથવા લાભદાયક ફૅટ તરીકે ઓળખી શકાય. તેનો ઉપયોગ અમુક પ્રકારના હોર્મોન્સમાં સુધારો કરવામાં પણ અસરકારક છે.

આ સામાન્ય ફળના અસામાન્ય લાભોનો ઉપયોગ આ સીઝનમાં કરી શકાય, કારણ કે આ ગાળામાં સારી ગુણવત્તાવાળું કલિંગડ વાજબી ભાવે મળી રહે છે. દરેક ઉંમરની વ્યક્તિ માટે સ્વીકાર્ય તેમજ સ્વાદિષ્ટ એવા આ તરબૂચ ખરેખર પોષણનો ભંડાર છે.

તરબૂચની ક્વૉલિટી ઓળખવાની વાત કરીએ તો, ઘાટા લીલા રંગની છાલ ધરાવતા તરબૂચની જગ્યાએ થોડા આછા રંગના પસંદ કરવા. તેમાં સાઈડમાં રહેલો પીળો રંગનો ભાગ એ કુદરતી રીતે પકવાયેલું હોવાની નિશાની છે. તરબૂચને ટકોરા મારીને જો અંદર પોલાણ હોય એવું લાગે તો તેને પસંદ ન કરવું. વજનદાર તરબૂચ હંમેશાં દળદાર અને સ્વાદિષ્ટ હોય છે. આમ, તરબૂચ ખરીદતાં પહેલાં તેની ક્વૉલિટી ચકાસવી, જેથી તમે આ આદર્શ ફળનો આસ્વાદ માણી શકો.

માફક આવે તો ઉનાળાના દિવસોમાં રોજ પણ કલિંગડ ખાઈ શકાય. અલબત્ત, અમુક વ્યાધિ હોય તો સાવધાની રાખવી.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)