TMCના 14 સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCમાં મોટી ફૂટ પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સોમવારે નવી દિલ્હીમાં TMCના 14 સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારી પણ હાજર રહ્યા હતા.આ બેઠક પહેલાં જ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભાની સભ્યતા પરથી રાજીનામું આપી દીધું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ TMCને સતત આંચકાઓ લાગી રહ્યા છે. જો 14 લોકસભા સાંસદો TMC છોડીને ભાજપમાં જોડાઈ જાય તો પશ્ચિમ બંગાળમાં TMCને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે 80માંથી 58 ધારાસભ્યોએ પહેલેથી જ પાર્ટી નેતૃત્વ સામે બળવાખોર વલણ અપનાવ્યું હોવાનું કહેવાય છે.

TMCના બળવાખોર સાંસદોમાં કોણ-કોણ સામેલ છે?

  1. શતાબ્દી રોય
  2. કાકોલી ઘોષ
  3. અબુ તાહિર
  4. ખલીલુર રહમાન
  5. અસિત માલ
  6. અરુપ ચક્રવર્તી
  7. કાલીપદ સોરેન
  8. જગદીશ બસુનિયા
  9. પ્રસૂન બેનર્જી
  10. શર્મિલા સરકાર

આ બળવાખોર નેતાઓની બેઠકમાં ધારાસભ્ય અખરૂર જામા પણ હાજર રહ્યા હતા.

મમતા બેનર્જી INDIA ગઠબંધનની બેઠકમાં હાજર

જ્યારે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદોમાં બળવો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ TMCપ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપી રહ્યાં છે. તેમની સાથે અભિષેક બેનર્જી પણ આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીમાં પહોંચ્યા છે.

સુખેન્દુ શેખરે શું કહ્યું?

સુખેન્દુ શેખરે TMCની પ્રાથમિક સભ્યતા તેમ જ રાજ્યસભાની સભ્યતા બંનેમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તાજેતરની ચૂંટણીમાં બંગાળના મતદાતાઓએ છેલ્લાં 15 વર્ષથી સત્તામાં રહેલી TMC પ્રત્યે સંપૂર્ણ અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. મતદાતાઓએ પાર્ટીમાં વ્યાપક ભ્રષ્ટાચાર, મહિલાઓ પર થતા અત્યાચાર અને શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, રોજગાર તેમ જ કાયદો-વ્યવસ્થાનાં ક્ષેત્રોમાં થયેલી નિષ્ફળતા અને અરાજકતાને નકારી કાઢી છે.