શિવસેના સાંસદોને 15 કરોડ રૂપિયાની ઓફર?

નવી દિલ્હીઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતએ મંગળવારે (16 જૂન) મોડી રાત્રે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવી રહી છે. તેમના આ નિવેદનથી પક્ષના કેટલાક લોકસભા સભ્યો પક્ષ બદલશે તેવી અટકળોને વધુ બળ મળ્યું છે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT)ના સાંસદોમાં સંભવિત બળવો થવાની ચર્ચા ત્યારે તેજ બની હતી, જ્યારે સત્તારૂઢ શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકએ સંકેત આપ્યો હતો કે બળવાખોર સાંસદોનું સ્વાગત કરવામાં આવશે અને પક્ષમાં જોડાયા બાદ તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

એ દરમિયાન સંજય રાઉત દિલ્હી પહોંચ્યા બાદ રાજકીય ચર્ચાઓમાં વધુ ગરમાટો આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવતા રાઉત વિશે એવી અટકળો ચાલી કે તેઓ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળીને પક્ષના નવ સાંસદો દ્વારા અલગ જૂથ બનાવવાના સંભવિત પ્રયાસોને રોકવાનો પ્રયાસ કરી શકે છે.

સંજય રાઉતનો ચોંકાવનારો દાવો

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં સંજય રાઉતે લખ્યું હતું કે અપના સપના મની… મની! સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોંકાવનારી બાબત અને શરમજનક છે. આ પહેલાં રાઉત અને તેમના સાથી તથા લોકસભા સાંસદ અનિલ દેસાઈએ પક્ષના કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે તેવી અટકળોને નકારી કાઢી હતી.

બળવાખોર સાંસદોને ખુલ્લું આમંત્રણ

સાંસદોમાં બળવાની ચર્ચાઓ વચ્ચે પ્રતાપ સરનાઈકે પરોક્ષ રીતે બળવાખોર સાંસદોને આમંત્રણ આપતાં કહ્યું હતું કે જો સાંસદો અને ધારાસભ્યો જેવા જનપ્રતિનિધિઓને પોતાના નેતૃત્વ પર વિશ્વાસ ન હોય અને તેઓ બાળાસાહેબ ઠાકરેના વિચારોમાં વિશ્વાસ રાખતા હોય તથા એકનાથ શિંદેના નેતૃત્વને સ્વીકારવા તૈયાર હોય તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો તેઓ ભવિષ્યમાં પક્ષમાં આવવાનો વિચાર કરશે તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. આ નિવેદન શિવસેના (UBT)ના સાંસદ સંજય દેશમુખે કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ આવ્યું હતું.