નવી દિલ્હીઃ વિયેતનામમાં એક સ્પીડબોટ સાથે દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય પ્રવાસીઓને લઈ જતી આ સ્પીડબોટ ફુ ક્વોક ટાપુની નજીક કોઈ કારણસર ડૂબી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગેની માહિતી વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્પીડબોટમાં ભારતીય પ્રવાસીઓ સવાર હતા અને તેમાંના કેટલાક લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
32 ભારતીય પ્રવાસીઓ સવાર હતા
સ્થાનિક સમય અનુસાર 11 જુલાઈએ સવારે લગભગ 10:30 વાગ્યે 32 ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડબોટ ફુ ક્વોક નજીક આવેલા ‘હોન મે રુટ ન્ગોઇ’ વિસ્તાર પાસે ડૂબી ગઈ હતી. બોટમાં ચાર વિયેતનામી ક્રૂ સભ્યો પણ સવાર હતા. બપોર સુધીમાં ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર 15થી વધુ લોકોનાં મોત થયાં છે. વિયેતનામી સત્તાધિકારીઓ અકસ્માતનાં કારણોની તપાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર ઓશન પર્લ આઇલેન્ડ કંપનીની સ્પીડબોટ હોન મે રટ વિસ્તારમાંથી પ્રવાસીઓને લઈને એન થોઇ બંદર તરફ જઈ રહી હતી. ફુ ક્વોક એરપોર્ટથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા હોન મે રટ એન્ગ્વાઈ વિસ્તારથી આશરે 400 મીટર દૂર સ્પીડબોટ પલટી ગઈ. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બોટમાં સવાર તમામ લોકો સમુદ્રમાં પડી ગયા હતા.
In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago.
Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing.
In order to provide information…
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
ભારતીય દૂતાવાસે આપી માહિતી
વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક દુઃખદ ઘટનામાં થોડા કલાકો પહેલાં વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક અનેક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડબોટ પલટી ગઈ છે. સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલુ છે અને ઘટનાની ચોક્કસ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
21 લોકોને બચાવી લેવાયા
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ફુ ક્વોક ટાપુ નજીક પર્યટકોને લઈ જતી એક સ્પીડબોટ પલટી જવાથી મૃત્યુઆંક વધીને 15 થયો છે, જ્યારે 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.






