કોલંબોઃ શ્રીલંકાની સૌથી ખતરનાક જેલોમાંની એકમાં થયેલી હિંસક અથડામણમાં ચાર જેલ ગાર્ડ અને 19 કેદીઓનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લાં છ વર્ષથી વધુ સમયગાળામાં દેશમાં થયેલી આ સૌથી જીવલેણ જેલ અથડામણ માનવામાં આવે છે. અહેવાલ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે કોલંબોની મુખ્ય જેલમાં ડ્રગ્સના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા બે કેદી ગેંગ વચ્ચે રાતભર હિંસક અથડામણ ચાલી હતી. હિંસા બાદ ઘાયલોને કોલંબોના ઉત્તર ભાગમાં આવેલા નેગોમ્બો સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલનાં ડિરેક્ટર પુષ્પા ગામલાથે જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં કુલ 23 મૃતદેહ લાવવામાં આવ્યા છે અને 100થી વધુ ઘાયલ કેદીઓ તેમ જ જેલ ગાર્ડને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોને ગોળી વાગી છે, જ્યારે કેટલાકને ધારદાર હથિયારના ઘા અને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિશેષ દળો અને અથડામણ નિયંત્રણ દળોને જેલમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તાર પર નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, મોટી સંખ્યામાં કેદીઓના પરિવારજનો જેલની બહાર માહિતીની રાહ જોઈને એકત્ર થયા હતા.
આ અથડામણનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તેની તપાસ ચાલુ છે. શ્રીલંકા પોલીસની પ્રાથમિક માહિતી મુજબ જેલની અંદર માદક પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલા કેદીઓનાં બે જૂથો વચ્ચેના વિવાદને કારણે આ હિંસા ભડકી હોવાનું માનવામાં આવે છે. સમગ્ર ઘટનાક્રમની હકીકત જાણવા માટે અનેક સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ શ્રીલંકાની જેલોમાં અતિ ભીડની ગંભીર સમસ્યા અંગે ફરી ચિંતા વધારી છે. સત્તાવાર આંકડા મુજબ દેશની જેલોમાં હાલમાં આશરે 41,250 કેદીઓ છે, જ્યારે જેલોની ક્ષમતા તેની સરખામણીએ લગભગ ચાર ગણી ઓછી છે. આ પહેલાં વર્ષ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન મહારા જેલમાં થયેલા રમખાણમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.




