નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં લગભગ 40 દિવસ ચાલેલા ભયાનક યુદ્ધ બાદ અમેરિકા અને ઈરાન સીઝફાયર માટે સંમત થયા છે. સીઝફાયર શરતોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો મુદ્દો પણ સામેલ છે, પરંતુ સીઝફાયર છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 20,000થી વધુ નાવિકોની જિંદગી હજુ પણ અનિશ્ચિતતામાં છે. હાલમાં ખાડી વિસ્તારમાં લગભગ 2000 માલવાહક જહાજો ફસાયેલાં છે. સ્થિતિ એટલી ખરાબ છે કે નાવિકો પાસે ખાવાનું અને પીવાનું પાણી પણ ખૂટી રહ્યું છે.
અહીં સમસ્યા માત્ર સંસાધનોની કમી પૂરતી મર્યાદિત નથી, પરંતુ મોતનો ડર એટલો વધારે છે કે જહાજોના કેપ્ટન કોઈ પણ કિંમતે જહાજ આગળ વધારવા તૈયાર નથી. સમુદ્રની વચ્ચે ફસાયેલાં આ હજારો જહાજોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
સીઝફાયર બાદ પણ રાશન-પાણીનું ગંભીર સંકટ
યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો હતો, જેને કારણે 2000થી વધુ જહાજો ત્યાં ફસાઈ ગયાં છે. ઘણા સમયથી ફસાયેલાં આ જહાજોમાં ખોરાક અને શુદ્ધ પાણીનો જથ્થો ઝડપથી ખતમ થઈ રહ્યો છે. સીઝફાયર છતાં નાવિકોની મુશ્કેલીઓ ઘટી નથી. જહાજોમાંથી આવતા ઇમરજન્સી સંદેશમાં ખોરાકની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. યુદ્ધને કારણે કોઈ સપ્લાય બોટ મદદ માટે પહોંચી શકતી નથી, જેને કારણે હજારો લોકો સમુદ્રમાં મુશ્કેલીમાં છે.
સીઝફાયર પછી પણ જહાજો બહાર કેમ નથી નીકળતાં?
સીઝફાયર હોવા છતાં જહાજો બહાર ન નીકળવા પાછળ મુખ્ય કારણ એ છે કે સીઝફાયર ખૂબ નાજુક છે. બંને પક્ષો વચ્ચે અથડામણ પૂરી રીતે બંધ થઈ નથી. ઈરાની મિડિયા મુજબ હોર્મુઝ ફરી બંધ કરવામાં આવ્યો છે. આ કારણે આ વિસ્તાર નાવિકો માટે ‘ડેથ ઝોન’ બની ગયો છે. જહાજોના કેપ્ટન અને ક્રૂ સભ્યો પોતાની સલામતીને લઈને એટલા ભયભીત છે કે તેઓ આગળ વધવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમને ભય છે કે કોઈ પણ સમયે મિસાઈલ અથવા ડ્રોન હુમલો થઈ શકે છે.

વીમા કંપનીઓએ પણ હાથ ઊંચા કર્યા
હાલની સ્થિતિને જોતા કોઈ પણ સમુદ્રી વીમા કંપની જહાજો અને તેમાં ભરેલા કરોડો ડોલરના માલની સુરક્ષા માટે ગેરંટી આપવા તૈયાર નથી. વીમા કંપનીઓએ આ વિસ્તારને અત્યંત જોખમી ગણાવ્યો છે અને કવરેજ આપવાનું બંધ કરી દીધું છે.




