કચ્છના ભયાવહ ભૂકંપના એ પ્રથમ 24 કલાક…આવી રીતે વડાપ્રધાન કાર્યાલયને કરાઈ હતી જાણ

કચ્છમાં 26 જાન્યુઆરી 2001 ની વહેલી સવારે લોકો પ્રજાસતાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે 7.6ની તીવ્રતાથી આવેલો વિનાશક ભૂકંપ પળવારમાં હજારો લોકોને ભરખી ગયો. આખુ કચ્છ જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું.આ ગોઝારા દિવસને આવતી કાલે 25 વર્ષ પૂરા થશે છતાં લોકો એ દિવસો ભૂલ્યા નથી.

કચ્છના આ વિનાશકારી ભૂકંપ વખતે ટાંચા સાધનો હોવાથી કલાકો સુધી કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ હતી. દવા અને રાહતકાર્યોમાં ખૂબ અવરોધ આવ્યો. દુનિયાને ખૂબ મોડેથી જાણ થઈ કે કચ્છમાં ભૂકંપની મોટી આફત આવી છે. કચ્છના ભૂકંપના એ પ્રથમ કલાક કેવા હતા..કેવા સંજોગોમાં ગાંધીનગર અને વડાપ્રધાન કાર્યાલયને જાણ કરવામાં આવી એના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સવારે 8.46 કલાકે ભૂકપં આવ્યો અને સેકંડોમાં ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. ટેલિફોન સિસ્ટમ ઠપ થઈ ગઇ. છેક સાંજે સેટેલાઇટ ફોનથી દિલ્હી વડાપ્રધાન કાર્યાલયે જાણ કરવા પ્રયાસો થયા પણ લાંબા સમયથી ઉપયોગ ન હોવાથી સેટેલાઇટ ફોનની બેટરી ઉતરી ગઈ હતી. એ સમયે કારની બેટરીથી ફોન ચાર્જ કર્યો અને કલેક્ટર કચેરી દ્વારા દિલ્હી વડાપ્રધાન કાર્યાલયને કચ્છના ભૂકંપની જાણકારી આપવામાં આવી હતી ત્યારે ગાંધીનગરને પણ જાણ કરવાનું કહેવાયું કારણ કે ગાંધીનગર સાથે પણ તંત્રનો સંપર્ક થઇ શક્યો ન હતો.

ડૉ. ધીમંતકુમાર વ્યાસ IAS (નિવૃત્ત), તે સમયે ઓ.એસ.ડી હતા

એ સમયે કચ્છ કલેક્ટર કમલ દયાની અને ડીડીઓ રાજીવ ટોપનો હતા. એ ગોઝારા દિવસોની યાદ તાજી કરતા નિવૃત IAS અધિકારી ડો.ધીમંત વ્યાસ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,”હું એ સમયે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ( અછત ) તરીકે ફરજમાં હતો. 26 જાન્યુઆરીના એ દિવસે અમે ઘરેથી કારમા જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં જવા નીકળ્યા ત્યારે રસ્તામાં હતા ને ભૂકંપ આવ્યો.કાર હોડીની જેમ ફંગોળાઈ..નજર સામે જ ઘરો જમીન દોસ્ત થતા જોયા.થોડી વાર તો શું થયું એ સમજાયું નહીં. પછી ભૂકંપ આવ્યો હોવાનું જાણ્યું. હું અને કલેક્ટર સહિતના અધિકારીઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યાં ધ્વજ વંદનના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા મંત્રી સુરેશ મહેતા રોકાયા હતા.એ ઈમારતને મોટું નુકશાન થયું હતું.રૂમનો દરવાજો ખુલી શકે તેમ ન હતો એટલે બારીમાંથી તેમને બહાર કાઢી ખુલ્લામાં બેસાડ્યા હતા.”

ડૉ.ધીમંત વ્યાસે જણાવ્યું કે સવારે 10 વાગ્યાની આસપાસ અમે આર્મી હેડ ક્વાર્ટર ગયા. કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ હોવાથી મદદ માંગવામાં આવી પણ આર્મી અને એરફોર્સ સ્ટેશનને પણ ભારે નુકશાન થયું હતું. 10:30 કલાકે ખબર પડી કે જી.કે જનરલ હોસ્પિટલના કેટલાક માળ જમીન દોસ્ત થઈ ગયા છે. દર્દી, સ્ટાફ મળી 500થી વધુ લોકો દટાયા છે. ત્યાંથી શક્ય તેટલા લોકોને જયુબિલી ગ્રાઉન્ડમાં લવાયા. મેડિકલ સ્ટોર ખોલાવી દવાઓ અપાઈ.

છેક બપોરે એક વાગ્યે સૂરજબારી પુલ પાસેથી રાજકોટ તરફની પોલીસની મદદથી વાયરલેસ મેસેજથી માહિતી આપી. છેક સાંજે 6 વાગ્યે સેટેલાઇટ ફોનથી વડાપ્રધાન કાર્યાલયને ફોન લાગ્યો.અને ગાંધીનગર પણ જાણ કરવામાં આવી.ગાંધીનગરથી સિનિયર અધિકારીઓની પહેલી ટીમ રાત્રે 8 વાગ્યે ભુજ પહોંચી. રાત્રે 12 વાગ્યે ગંભીર દર્દીઓને એસ.ટીની બસમાં રાધનપુર તરફ મોકલવામાં આવ્યા.અને મોડી રાત્રે 2.30 કલાકે પુનાથી આર્મીનું પહેલું વિમાન દવા, ધાબળા જેવી ચીજો લઈને ભુજ પહોંચ્યું હતું. રાત્રે લાઈટ ન હોવાથી કારની લાઇટથી લોકોને તે પહોંચતા કરવામાં આવ્યા. આ ભયાવહ ભૂકંપની આ પહેલી 24 કલાક જેમણે જોઈ છે તે ક્યારેય ભૂલી નહીં શકે.

અહેવાલ- દેવેન્દ્ર જાની ( રાજકોટ)