ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી, વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે નવસારીમાં ગણદેવીના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલાં 33 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. વરસાદની વિકટ પરિસ્થિતિમાં રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નવસારીમાં 33ને એરલિફ્ટ કરાયા
ગણદેવીના મેંધર ભાટ ગામે છેલ્લા 18 કલાકથી ફસાયેલાં મજૂરોની મદદે કોષ્ટ ગાર્ડની ટીમ પહોંચી હતી. આમ, મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલાં 33 લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફસાયેલાં મજૂરોએ વીડિયો મારફતે મદદ માગી હતી. કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા 38,653 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5,547 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની 49 ટીમો તૈનાત કરાઈ છે. અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેનાની 2-2 ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.




