માલદા પ્રોટેસ્ટ કેસના મુખ્ય કાવતરાખોર સહિત 35ની ધરપકડ

 કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ચૂંટણી પંચે કેસની NIA તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચના આદેશ મળતાં જ NIAએ તપાસ શરૂ કરી દીધી છે. NIAની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર સહિત કુલ 35 લોકોની ધરપકડ કરી છે. માલદા હિંસા કેસની તપાસ હવે NIA કરી રહી છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તેને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

મુખ્ય કાવતરાખોરની ધરપકડ

ADG  નોર્થ બંગાળ જયરામને જણાવ્યું હતું કે લોકોને ઉશ્કેરવાના આરોપમાં મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આવી કોઈ પ્રવૃત્તિને અમે મંજૂરી આપવાના નથી. આ ઘટના અગાઉથી આયોજનબદ્ધ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યાયિક અધિકારીઓને CAPF સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલ મોફક્કરુલ ઇસ્લામ મુર્શિદાબાદના કાલિયાચક કેસનો મુખ્ય ષડયંત્રકર્તા છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેને ત્યારે ધરપકડ કરી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આરોપી ઇસ્લામનું નિવેદન

ધરપકડ બાદ ઇસ્લામે કહ્યું કે SIRને નામે જેમના નામ ‘D voter’ તરીકે નોંધાયા છે અથવા ડિલીટ થયા છે એવા મુસ્લિમ લોકોના આંદોલનમાં મદદ કરવા માટે તે ત્યાં ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે આંદોલન શરૂ કર્યું નહોતું. તે કોલકાતાથી અલીપુરદ્વાર જઈ રહ્યો હતો અને રસ્તામાં આંદોલન પાસે અટકીને ભાષણ આપ્યું હતું. તેને કારણે કોઈ જજ અટક્યા નહોતા. તેની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.

બુધવારે કાલિયાચકમાં ઘટના બની

માલદાના કાલિયાચક વિસ્તારમાં સાત ન્યાયિક અધિકારીઓને ઉપદ્રવીઓએ બંદી બનાવી લગભગ 8 કલાક સુધી રાખ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બંગાળના DGP સાથે વાત કરી, ત્યાર બાદ પોલીસ પહોંચી અને ન્યાયિક અધિકારીઓને મુક્ત કરાયા હતા.